- ચોટીલા પોલીસ મથકે એક શખ્સ વિરૂદ્ધ ફરિયાદ
- ગાડી અથડાવા મામલે ઠપકો આપ્યાની રીસ રાખી ખેરાણા ગામના શખ્સ ફાયરિંગ કરી નાસી છૂટયો
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખના રહેણાક મકાન પર ફાયરિંગ થતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તપાસમાં અગાઉની બોલાચાલીનું મનદુઃખ રાખી ખેરાણા ગામના શખ્સે ફાયરિંગ કર્યું હોવાનું હાલ સામે આવ્યું છે. ફાયરિંગ કરનાર શખ્સ વિરૂદ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોટીલાના મેવાસા ગામે રહેતા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ભીખાભાઈ લઘરાભાઈ રાઠોડના ભત્રીજા ઈશ્વરભાઈ સગરામભાઈ રાઠોડના રહેણાંક મકાન સાથે ગત તા.૩૧ સપ્ટેમ્બરના રોજ નિમભાઇ કનુભાઈ ખાચરે પોતાની કાર ભટકાડી હતી. જે બાબતે ઠપકો આપતા ત્યાંથી બાઈક લઈને આવેલા અજય કાળુભાઇ ધાધલ બોલાચાલી કરવા લાગ્યા હતા. ત્યાર બાદ અજયભાઈ ધાધલ વારંવાર ભીખાભાઈ રાઠોડ તથા તેઓના પુત્રને ફોન પર તેમજ રૂબરૂ મળે ત્યારે જોઈ લેવાની ધમકી આપતા હતા. ગત તા.૨૦ નવેમ્બરના રોજ રાત્રીના સમયે ભીખાભાઈ રાઠોડના પુત્ર અશ્વિનભાઈ પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા. તે દરમિયાન અજયભાઈ ધાધલનો ફોન આવ્યો હતો અને ધમકી આપી ચોટીલા આવવા માટે જણાવી ગાળો બોલતા હોવાથી અશ્વિનભાઈએ ફોન કાપી નાખતા વારંવાર ફોન આવતો હતો. પરંતુ ફોન નહીં ઉઠાવતા અજયભાઈ જસ્કુભાઈ ધાધલ (રહે. ખેરાણા) કાર લઈને મેવાસા ગામે આવી પહોંચ્યા હતા અને ભાજપના આગેવાનના ઘર પર ફાયરિંગ કરી નાસી ગયા હતા. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ ફાયરિંગ કરનાર શખ્સ વિરુધ ચોટીલા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ભીખાભાઈ રાઠોડએ ચોટીલા પોલીસ મથકે અજયભાઈ જસ્કુભાઈ ધાધલ સામે ફરિયાદ નોંધાવી છે.


