Jamnagar : જામનગર શહેરના વિકાસગ્રહ રોડ પર દેવદિવાળીના તહેવારને અનુલક્ષીને ફટાકડાનો સ્ટોલ ઊભો કરાયો હતો, જે સ્થળે ફટાકડાની ખરીદી કરવા ગયેલા એક યુવાન સાથે બે વિક્રેતાઓને તકરાર થઈ હતી, અને દાતરડા વડે ગ્રાહક ઉપર હુમલો કરી દેવાયાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. જયારે સામા પક્ષે વેપારી દ્વારા પણ પોતાના પર હુમલો કરાયાની ગ્રાહક સામે વળતી ફરિયાદ નોંધાવાઈ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શરૂ સેક્શન રોડ પર સંત કબીર આવાસના બ્લોકમાં રહેતા બે વેપારી ભાઈઓ સાહિલ મનીષભાઈ ઠક્કર અને ઉદય મનીશભાઈ ઠક્કર કે જે બંને વિકાસ રોડ પર ફટાકડાના સ્ટોલ ઉભો કરીને ગઈકાલે દેવ દિવાળીના તહેવારના અનુલક્ષીને ફટાકડાનું વેચાણ કરી રહ્યા હતા.
જે દરમિયાન રાંદલ નગર વિસ્તારમાં રહેતો હરપાલસિંહ નવલસિંહ ઝાલા નામનો યુવાન ફટાકડાની ખરીદી કરવા માટે આવ્યો હતો, જ્યાં ફટાકડાના બિલના પૈસાની લેતી દેતીના મામલે વેપારી અને ગ્રાહક બંને વચ્ચે તકરાર થઈ હતી, અને બંને આરોપી વેપારી ભાઈઓએ દાતરડા વડે હરપાલસિંહ જાડેજા પર હુમલો કરી દેતાં ઇજાગ્રસ્ત બન્યો હતો, અને તેને જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ હાથમા ટાંકા લેવા પડ્યા હતા.
આ મામલે હરપાલસિંહ ઝાલાએ બંને હુમલાખોર ભાઈઓ સાહિલ અને ઉદય સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં સીટી બી. ડિવિઝન પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત વેપારી ઉદય મનીષભાઈ ઠક્કરે પણ પોતાના ઉપર અને પોતાના ભાઈ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ગ્રાહક હરપાલસિંહ ઝાલા સામે વળતી ફરિયાદ નોંધાવી છે.


