શેખપીર નજીક ધ્રોબાણાથી જોગણીનાર જતી એસ.ટી.બસની કેબિનમાં આગ ભભુકી
ડ્રાઈવરે સમયસૂચકતા દાખવીને તમામ પેસેન્જરોને સહીસલામત ઉતાર્યા ઃ કોઈ જાનહાની નહિં ઃ વાયરીંગમાં સોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે ૬.૧૫ કલાકે ધ્રોબાણાથી જોગણીનાર તરફ નિકળેલી એસ.ટી.બસ નં.જીજે.૧૮.ઝેડ.૪૭૫૪ સવારે ૯.૩૦ કલાકે શેખપીર નજીક પહોંચી ત્યારે ડ્રાઈવર સાઈડની કેબીનમાં એન્જીન સાથે એકાએક ધુમાડાના ગોટેગોટા નિકળતા એસ.ટી. બસ ચાલકે બસને સાઈડમાં ઉભી રાખીને પ્રથમ તબક્કે બસમાં સવાર ૨૦ પેસેન્જરને સલામત બહાર કાઢ્યા હતા. અને ત્યારબાદ બસમાં રહેલ ફાયર એક્ઝીક્યુટરની મદદથી આગ ઓલાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેમજ પાણી અને માટી સાથે આગ ઓલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ભુજ ફાયરબ્રિગેડની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. આ ટીમે અડધો કલાકની જહેમત બાદ આગને કાબુમાં કરી લીધી હતી.
અંજાર વિભાગના ડેપો મેનેજર એચ.આર.સામળાના જણાવ્યા પ્રમાણે બસમાં સવાર તમામ પેસેન્જરોને અન્ય એસ.ટી.બસમાં રવાના કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનમાં હાલ ક્યા કારણોસર આગ લાગી હતી તે હજુ તપાસ ચલાવવામાં આવી રહી છે. જોકે બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, વાયરીંગમાં સોર્ટસર્કિટના કારણે આ બનાવ બનવા પામ્યો હતો. ઉલ્લેખનીય એ છે કે, હજુ ગઈકાલે રાધનપુર હાઈવે પર રાપરના કાનમેર પાટીયા પાસે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવવા પામી હતી ત્યારે આજે બીજા દિવસે બસમાં આગની ઘટના બનવા પામતા દોડધામ મચી જવા પામી છે.