વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં બાળકોની આઈટમો બનાવતી ફુડ કંપનીમાં આગ લાગતા દોડધામ
- સવારે લાગેલ આગ અંદાજે 6 કલાક બાદ પાલિકાની ફાયર ફાયટર ટીમે કાબુમાં લીધી
- સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ ન બનતા દુર્ધટના ટળી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં આગ લાગવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ફુડ કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી સદ્દનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અને બાળકોની ખાદ્ય આઈટમો બનાવતી મન ફુડઝ નામની કંપનીમાં અચાનક વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. સદ્દનસીબે સવારનો સમય હોવાથી કંપનીમાં કોઈ કામદારો આવ્યા ન હોવાથી જાનહાનીનો બનાવ બન્યો નહોતો જ્યારે આ અંગેની જાણ થતાં લોકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા અને સુરેન્દ્રનગર મનપાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા સ્થળ પર આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતા અને અંદાજે સવારે ૫-૦૦ વાગ્યે લાગેલ આગ બપોરના ૧૧-૩૦ સુધી ભારે જહેમત બાદ કાબુમાં આવી હતી. જ્યારે કંપનીમાં રહેલ ફુડ મટીરીયલનો કાચો માલ, પેકીંગ મટીરીયલ સહિતનો માલ-સામાન તેમજ મશીનરી બળીને ખાખ થઈ જતા લાખોની કિંમતના નુકશાનની આશંકાઓ સેવાઈ રહી છે જ્યારે પ્રાથમિક તપાસમાં શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.