જામનગર નજીક દડીયામાં કોલસાની ખરીદીના બહાને ઈંટોના ભઠ્ઠાના સંચાલક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થયાનો ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર તાલુકાના દડીયામાં રહેતા ઈંટોના ભઠ્ઠાના સંચાલક સાથે કોલસાની ખરીદીના બહાને રૂપિયા 75 હજારની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે, અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મામલે પોલીસે થાનગઢના કોલસાના વિક્રેતા સામે ગુનો નોંધ્યો છે.
જામનગરના પંચકોશી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ગઈકાલે કોલસા સપ્લાયના નામે છેતરપીંડીનો ગુનો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભારતીય ન્યાય સંહિતા કલમ 318(4) મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદી સુનીલભાઈ નાનજીભાઈ ચાવડા (ઉ.વ. 51, રહે. પટેલ પાર્ક, જામનગર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તા.10/12/2025ના રોજ રાત્રે લગભગ સાડા અગિયારેક વાગ્યે દડીયા ગામ નજીક નદીના કાંઠે આવેલ તેમની ઈંટ ભઠ્ઠી માટે કોલસાની જરૂરિયાત હતી.
આ દરમ્યાન આરોપી રામભાઈ ભરવાડ (રહે. ચાંદળીયા ગામ, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર) સાથે મોબાઇલ દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો હતો. આરોપીએ ફરીયાદીને વિશ્વાસમાં લઇ, એક ટન કોલસાનો ભાવ રૂ.4,300 નક્કી કરી કુલ રૂ.75,000 ગૂગલ પે મારફતે એડવાન્સ તરીકે મેળવી લીધા હતા. પરંતુ આરોપીએ ન તો કોલસો સપ્લાય કર્યો અને ન તો રૂપિયા પરત આપ્યા, જેથી ફરીયાદીને છેતરપીંડીનો ભોગ બનવું પડ્યું હતું. આ બનાવ અંગે પંચકોશી બી ડીવી.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.








