દહેગામ બેઠક પર કોંગ્રેસને હાશકારો, કામિનીબા માની ગયા, અપક્ષમાંથી ફોર્મ પરત ખેંચ્યું
કોંગ્રેસના ધારાસભ્ય કામિનીબા દહેગામ બેઠક પરની ટીકિટ કપાઈ હતી
કામિનીબા કોંગ્રેસથી નારાજ થતા તેમણે અપક્ષમાંથી નોધાવી હતી ઉમેદવારી
ગાંધીનગર, તા. 21 નવેમ્બર 2022, સોમવાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે પક્ષપલટો પણ વધી રહ્યો છે. તમામ પક્ષે મોટાભાગે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જોકે, કેટલાક ઉમેદવારોની ટિકિટ કપાતા નારજગી અને પક્ષ સામે વિરોધ પણ કર્યા હતો. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના દહેગામ વિધાનસભા કોંગ્રેસના ઘારાસભ્ય કામિની બાની ટીકિટ કપાતા કોંગ્રેસથી નારાજ થયા હતા અને અપક્ષમાંથી ઉમેદવારી નોધાવી હતી. પરંતુ આખરે કોંગ્રેસ અગ્રણીઓએ કામિનીબાને મનાવી લેતા દહેગામના અપક્ષમાંથી કામિનીબાએ ફોર્મ પરત ખેચ્યુ છે. આ સાથે મળતી માહિતી મુજબ કોંગ્રેસના ઘારાસભ્ય કામિનીબા આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી અટકળો થઈ રહી છે.
કામિનીબાએ કોંગ્રેસ પર લગાવ્યો છે ટિકિટ વેચવાનો આરોપ
જિલ્લાની 34 દહેગામ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા છે અને કોંગ્રેસે વખતસિંહ ચૌહાણની પસંદગી કરી છે. ત્યારે કામિની બા રાઠોડે તેનો વિરોધ દર્શાવ્યો છે. થોડા દિવસ પહેલા દહેગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કામીની બાએ આ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે આ બેઠક માટે મારી પાસે એક કરોડ માંગ્યા છે. મેં રૂપિયા ન આપ્યા તો બીજાઓ જોડેથી રૂપિયા લઈને ટિકિટ વેચી દીધી. પહેલા મારી પાસે એક કરોડની માંગણી કરી પછી 70 લાખ કહ્યા, અને મેં કહ્યું 70 લાખ નથી તો મારી પાસે 50 લાખની માંગણી કરી છે. તેમજ મને કહેવામાં આવ્યુ હતુ કે, તમે જ્યાં સુધી પૈસા જમા નહીં કરાવો ત્યાં સુધી તમારી ટિકિટ ફાઈનલ નહીં થાય. તમે પૈસા આપશો પછી જ ફાઈનલ થશે. આમ કામિની બાએ કોંગ્રેસ પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો.