Gujarat

ધો. 12 ની પુરક પરીક્ષા પાસ કરનાર અને પ્રવેશ વંચિત છાત્રો માટે અંતિમ રાઉન્ડ

By GS TEAM
15 Jul 20251 min read
ધો. 12 ની પુરક પરીક્ષા પાસ કરનાર અને પ્રવેશ વંચિત છાત્રો માટે અંતિમ રાઉન્ડ

- અત્યાર સુધીમાં યુજીમાં 12,130 અને પીજીમાં 2,207 પ્રવેશ

- આગામી 21 સુધી ફોર્મ ભરાશે અને તા. 24 થી 30 સુધીના 5 રાઉન્ડમાં પ્રવેશ કાર્યવાહી આટોપી લેવાશે

ભાવનગર : મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીની વિવિધ કોલેજો અને ભવનોમાં જીકાસના માધ્યમથી પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જાહેર થયેલ ધો.૧૨ની પુરક પરીક્ષા પાસ કરનાર અને પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે ખાસ તબક્કાની પ્રક્રિયા અમલી બનાવાઇ છે. સાથો સાથ ૨૪ જુલાઇથી ૩૦ જુલાઇ દરમિયાન પાંચ ખાસ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મની પ્રક્રિયા હાથ ધરાશે.

જીકાસના વિવિધ રાઉન્ડ અંતર્ગત મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીના સ્નાતક કક્ષાએ ૧૧ જુલાઇની સ્થિતિએ ૧૨,૧૩૦ તથા અનુસ્નાતક કક્ષાએ ૨,૨૦૭ વિદ્યાર્થી પ્રવેશ કન્ફર્મ થયા છે. દરમિયાનમાં ધો.૧૨ પુરક પરીક્ષામાં પાસ થયેલા તથા અન્ય પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ તા.૧૪થી ૨૧ જુલાઇ સુધી જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરી શકશે. તેમજ યુજીના વિવિધ તબક્કા બાદ પણ બાકી રહી ગયેલા વિદ્યાર્થી તા.૧૭ થી ૨૧ દરમિયાન પોર્ટલ પર યુનિવર્સિટી કોલેજ, પ્રોગ્રામ, વિષય પસંદગી બદલી શકશે. જે વિદ્યાર્થીઓએ નવા ફોર્મ ભરેલ હોય તથા સબમીટ કરેલ અરજી સુધારેલ હોય કે વેરીફાઇ ન થયું હોય તેઓએ ૨૨ જુલાઇ સુધીમાં વેરીફિકેશન કરાવવાનું રહેશે. જ્યારે તા.૨૪ થી ૩૦ જુલાઇ દરમિયાન જુદા જુદા પાંચ ખાસ રાઉન્ડ દરમિયાન જે તે કોલેજ ખાતે પ્રવેશ કન્ફોર્મ કામગીરી થશે.