પ્લેન ક્રેશ પછી અમદાવાદના ફિલ્મ મેકર ગુમ, છેલ્લું લોકેશન દુર્ઘટના સ્થળથી ફક્ત 700 મીટર દૂર
Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ એક ફિલ્મ મેકર ગુમ થઈ ગયા હોવાની માહિતી મળી છે. તેમના પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હોઈ શકે છે. આ ઉપરાંત તેમના મોબાઇલ ફોનનું છેલ્લું લોકેશન દુર્ઘટના સ્થળથી માત્ર 700 મીટર દૂર હતું. જો કે, પરિવારે ઓળખ માટે ડીએનએ સેમ્પલ સબમિટ કર્યા છે.
જાણો શું છે સમગ્ર મામલો
અહેવાલો અનુસાર, વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ફિલ્મ મેકરની ઓળખ મહેશ કાલાવાડિયા તરીકે થઈ છે. તેને મહેશ જીરાવાલા તરીકે પણ ઓળખાય છે. તે નરોડા વિસ્તારમાં રહેતા હતા અને મ્યૂઝિક આલ્બમ બનાવતા હતા. મહેશ કાલાવાડિયાના પત્ની હેતલે જણાવ્યું હતું કે, 'ગુરૂવારે (12મી જૂન) તે લો ગાર્ડન વિસ્તારમાં મીટિંગમાં ગયા હતા. ત્યારબાદ તેમણે મને બપોરે 1:14 વાગ્યે ફોન કરીને કહ્યું કે, મીટિંગ પૂરી થઈ ગઈ છે અને હું ઘરે આવી રહ્યો છું. જ્યારે તે ઘરે પાછા ન ફર્યા, ત્યારે મેં તેમને વારંવાર કોલ કર્યા, પરંતુ તેમનો ફોન બંધ આવતો હતો. આ મામેલ મે પોલીસને જાણ કરી હતી, પોલીસ તપાસમાં તેના મોબાઇલ ફોનનું છેલ્લું લોકેશન દુર્ઘટના સ્થળથી માત્ર 700 મીટર દૂર હોવાનું જાણવા મળ્યું.'
આ પણ વાંચો: મમ્મી ઓફિસ ગઈ? તેવા માસુમ આંશીના સવાલનો પરિવાર પાસે કોઈ જવાબ નથી!
પ્લેન ક્રેશ ઘટનામાં 278 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ ઘટનામાં 278 લોકોના મોત થઈ ગયા છે. તેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો તથા મેસ અને હોસ્ટેલમાં હાજર તથા ઘટનાસ્થળની આજુબાજુમાં હાજર અન્ય લોકો પણ સામેલ છે.