Vadodara Crime : વડોદરાના બરાનપુરામાં સિદ્ધેશ્વર મહાદેવની ગલીમાં રહેતા રોશની કુવર અને માહી કુવરે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે ગઈ કાલે અમારા નિત્યક્રમ મુજબ મારા ગુરુમા સાથે સવારના સાત વાગે ગોરવા વિસ્તારમાં અલગ અલગ સ્થળે ભિક્ષાવૃત્તિ કરીને બપોરે 12:30 વાગે બરાનપુરા માસીબાઓના અખાડે પરત આવી ગયા હતા. હાલમાં અખિલ ભારતીય કિન્નર સંમેલન હોય અમારા સમાજ વિશે નિયમો ઘડવાનું કામ થઈ રહ્યું હતું.
બપોરે પોણા એક વાગ્યે હું જમવા માટે અમારા અખાડાની સામે આવેલી સિદ્ધેશ્વર મહાદેવ ગલીમાં મકાનની ચાલીને જતી હતી તે દરમિયાન પાછળથી રિક્ષામાં (1) અર્ચના કુવર (રહે-કમલાનગર, આજવા રોડ) (2) રેશમા કુવર (રહે. મહાનગર વુડાના મકાનમાં) (3) સૌમ્ય કુવર (રહે-પાણીગેટ) તથા (4) રોશની કુવર આવ્યા હતા અને તેઓએ મારા વાળ પકડી મારા પર હુમલો કર્યો હતો. તેઓ મને માર મારતા કહેતા હતા કે નિઝામપુરા તથા ગોરવા વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરવા જવું નહીં. હવે જો ત્યાં જોવા મળ્યો હતો તને તથા તારા ગુરુને જાનથી મારી નાખીશું. આ હુમલામાં સોનાનો ત્રણ ગામ ગામનો અછોડો ખેંચીને લઈ ગયા હતા. બૂમાબૂમ થતા લોકો દોડી આવતા ચારેય હુમલાખોરો ભાગી ગયા હતા.


