બગસરાના ખીજડીયા ગામે બે પરિવારો વચ્ચે મારામારી, યુવકની ઘાતકી હત્યા
ઘણાં વર્ષોથી ચાલતી શેઢા તકરાર લોહીયાળ બની પિતાને બચાવવા પ્રતિકાર કરનાર પુત્ર અને કુહાડીથી જીવલેણ હુમલો કરનાર શખ્સ પણ ગંભીર રીતે ઘાયલ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને તપાસ
બગસરા, : બગસરા તાલુકાના ખીજડીયા ગામે બે પરિવારો વચ્ચે વર્ષોથી ખેતરના રસ્તા બાબતે ચાલતી શેઢા તકરારે વરવું સ્વરૂપ ધારણ કરતા ૪૦ વર્ષીય યુવકને કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. જયારે તેના પુત્ર અને સામા પક્ષે મુખ્ય હુમલાખોરને ઈજા થતાં ગંભીર હાલતમાં અમરેલી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનાં પગલે પોલીસે ખીજડીયા ગામે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો.
'જર, જમીન ને જોરૂ.. ત્રણેય કજિયાના છોરૂ' એ કહેવતને સાર્થક કરતી એક ઘટના બગસરા તાલુકાના ખીજડીયા ગામે બની હતી. જેમાં એક જ જ્ઞાાતિના બે પરિવારને વાડીએ જવાના માર્ગ બાબતે વર્ષોથી ઝઘડો ચાલતો હતો. આ ઝઘડાએ આજે વરવું સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેમાં સામાન્ય બોલાચાલી બાદ સશસ્ત્ર મારામારી થતાં જયરાજભાઈ ધીરૂભાઈ વાળાએ પોતાની પાસે રહેલી કુહાડીના ઘા મારીને સામા પક્ષના કાળુભાઈ ભોજભાઈ વાળા નામના 40 વર્ષીય યુવકની ઘાતકી હત્યા નીપજાવી હતી.
આ મારામારી સમયે પિતાને બચાવવા માટે પુત્ર રાજદીપ કાળુભાઈ વાળાએ પ્રતિકાર કર્યો હતો, જેથી તેને પણ ગંભીર ઈજા પહોંચી હતી. એ સાથે આરોપી જયરાજ વાળા પણ ઘાયલ થતાં બંનેને ગંભીર હાલતમાં અમરેલી સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બે પરિવારો વચ્ચેની શેઢા તકરાર આજે હત્યા સુધી પહોંચી જતાં નાના એવા ખીજડીયા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બંને પરિવાર એક સમાજના હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જયારે હત્યાનો બનાવ બનતા એલસીબી, એસઓજી અને બગસરા પોલીસ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો.