Bharuch news : ભરુચ શહેરના પોલીસ તંત્રમાં ત્યારે ચકચાર મચી ગઈ જ્યારે એક યુવાન મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના જ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો. આ દુઃખદ ઘટના ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે બની હતી, જ્યાં મૃતકે પોતાના રહેણાંક રૂમમાં ગત રાત્રિએ આત્મહત્યા કરી લીધી હતી.
મૂળ ભાવનગરની વતની અને 27 વર્ષીય પ્રીતિ ઉદયસિંહ પરમારના આ અંતિમ પગલા પાછળનું કારણ હજુ રહસ્યના વમળોમાં ઘેરાયેલું છે. ઘટનાની જાણ થતાંની સાથે જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બી ડિવિઝન પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને દરવાજો તોડી મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને વધુ કાર્યવાહી માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
આ મામલે બી ડિવિઝન પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા આત્મહત્યા પાછળના મૂળ કારણ સુધી પહોંચવા માટે મૃતક પ્રીતિ પરમારના પરિવારજનો, નજીકના મિત્રો અને સાથે ફરજ બજાવતા સહકર્મીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેથી આ દુઃખદ પગલા પાછળનું સાચું કારણ બહાર આવી શકે.


