Gujarat

રાજકોટમાં ભાજપને હારવાથી પણ વધારે પેનલ તૂટવાનો ભય

By GS TEAM
24 Apr 20262 mins read
રાજકોટમાં ભાજપને હારવાથી પણ વધારે પેનલ તૂટવાનો ભય

એક જ પક્ષના ઉમેદવારોને મળતા મતોમાં મોટો તફાવત રહેવા વકી : કોંગ્રેસને પણ ક્રોસ વોટિંગની શક્યતા : પ્રચાર જ્ઞાતિવાઈઝ, વ્યક્તિગત વધુ થયો

 રાજકોટ, : આજે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે રવિવારે સ્થાનિક સ્વરાજ્યની, ખાસ કરીને સૌરાષ્ટ્રની 6 મહાનગરપાલિકાના યોજાનાર મતદાનમાં મતદારને 1, 2, 3 કે 4  સુધી ઉમેદવારને મત આપવાનો અધિકાર હોય છે અને તે ઉપરાંત આ 4 મત તે એકથી વધુ પક્ષના કે અપક્ષના ઉમેદવારને પણ આપી શકે છે. આ વખતે ઉમેદવારોની ચાર-ચારની પેનલમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ છે ત્યારે ભાજપને અને કંઈક અંશે કોંગ્રેસને પણ હારવાથી વધારે પેનલ તૂટવાનો ભય વર્તાઈ રહ્યો છે.

ભાજપના સૂત્રોમાં ચર્ચા અનુસાર વોર્ડ નં. 2, 3, 10, 11, 16 અને 18 માં પેનલ તૂટવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે કોંગ્રેસને વોર્ડ નં. 3, 15 સિવાયની પેનલ ન જળવાય અને અન્ય વોર્ડમાં એકલ-દોકલ ચૂંટાઈ આવે તેવી સંભાવના છે. 

આ વખતે ચૂંટણી પ્રચાર દેખાડવા માટે તો પેનલનો થયો છે પરંતુ, જ્ઞાતિવાઈઝ સંમેલનો યોજીને તથા વ્યક્તિગત પ્રચારમાં ઉમેદવારોએ પોતાની જીત નિશ્ચિત બને તેવા પ્રયાસો દેખાઈ રહ્યા છે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાંથી વિરોધ પ્રદર્શન, નોટાને મત આપવાની સામુહિક ચિમકી અપાઈ છે ત્યારે આ વિરોધ પક્ષને બદલે ચોક્કસ ઉમેદવારો ઉપર ઠલવાય તેવી શક્યતા છે. જેના કારણે ચૂંટણીમાં ભલે જો જીતા વહી સિકંદર અર્થાત્ બહુમતિ એક મતની મળે તો પણ જીતેલા ગણાય પરંતુ, એક જ પક્ષના 4 ઉમેદવારોને મળનારા મતમાં મોટો તફાવત સંભવ છે.