ખારાઘોડા, નવાગામમાં દૂષિત પાણીનો નિકાલ ન થતાં રોગચાળાનો ભય
સ્થાનિક તંત્રએ કામગીરી નહીં કરતા ટીડીઓને રજૂઆત
તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખના ઘર પાસે જ ગંદા પાણી ભરાઇ રહેતા રોષ ઠાલવ્યો
સુરેન્દ્રનગર - દસાડા તાલુકાના ખારાઘોડા, નવાગામમાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા દૂષિત અને ગંદા પાણીનો નિકાલ કરવામાં ન આવતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જે અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં નીંભર તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતાં ખારાઘોડાના રહિશોએ તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓને ઉગ્ર રજુઆત કરી હતી.
ખારાઘોડા અને નવાગામ ગામમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા પુરતી નહીં હોવાથી દૂષિત પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘર સુધી પાણી ફરી વળતા મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે તેમજ રોગચાળો ફેલાવવાની પણ દહેશત સેવાઈ રહી છે. જે મામલે અનેક વખત ખારાઘોડા ગ્રામ પંચાયતને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા મહિલાઓ અને ગ્રામજનો દસાડા તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્ર થયા હતા અને ટીડીઓને આ મામલે રજુઆત કરી હતી તેમજ તાત્કાલીક આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની પણ માગ કરવામાં આવી હતી. જ્યારે આ તકે તાલુકા પંચાયત ઉપ-પ્રમુખ અંબુભાઈ પગીએ રોષ ઠાલવ્યો હતો અને પોતે ઉપ-પ્રમુખ હોવા છતાં તેમના ઘર પાસે જ દૂષિત પાણી ભરાતું હોવાનું તેમજ આ મામલે તલાટીને રજુઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવ્યો હોવાનું જણાવી રોષ દાખવ્યો હતો.