કપડવંજમાં વાયદપુરાના 40 ઘરોમાં પીવાના દૂષિત પાણીથી રોગચાળાનો ભય
- વારંવાર રજૂઆતો છતાં પાલિકાના પેટનું પાણી હાલતું નથી
- ચોમાસુ નજીક છતાં પ્રિ-મોન્સૂન કામગીરીનો અભાવ પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાલિકા ઉદાસિન
કપડવંજમાં નગરપાલિકા દ્વારા નાગરિકોના પ્રશ્નો હલ થવાને બદલે વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કપડવંજ પાલિકા ગટર ઉભરાવી, પાણી લીકેજ, રોડ રસ્તાની મોંકાણ પાલિકામાં કર્મચારીઓ દ્વારા વેરાની રકમની ઉચાપત સહિતના પ્રશ્નોથી ઘેરાયેલી છે.
ત્યારે કપડવંજ નગરપાલિકાના વોર્ડ નં. ૨ અને ૩માં આવેલા વાયદપુરા વિસ્તારમાં અંદાજે ૪૦થી વધુ ઘરોમાં પીવાના પાણીમાં ગટરનું દુર્ગંધ મારતું ડહોળું દૂષિત પાણી આવતું હોવાનું સ્થાનિકો આક્ષેપ સાથે જણાવી રહ્યા છે. આ અંગે પાલિકામાં ઘણી વખત ફરિયાદો કરવા છતાં સત્તાધીશો મનમાની કરી સમસ્યાનો ઉકેલ લાવતા નહીં હોવાનો સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ત્યારે વિસ્તારમાં ઝાડા- ઉલટી, કોલેરા જેવા પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય ફેલાયો છે. ત્યારે નિંદ્રાધિન પાલિકા તંત્ર વહેલી સમસ્યાનો નિકાલ લાવી પીવા લાયક શુદ્ધ પાણી વિતરણ કરે તેવી માંગણી ઉઠી છે.