Gujarat
લખતરના છારદ-લીંબડ રોડ પર બાવળોના સામ્રાજ્યથી અકસ્માતનો ભય
By GS TEAM
22 Jul 20251 min read

મોટો અકસ્માત કે જાનહાની થાય તે પહેલા નડતરરૃપ બાવળો હટાવવાની માંગ
સુરેન્દ્રનગર - લખતર તાલુકાના છારદથી લીંબડ જવાનાં રોડ ઉપર બંને બાજુ ગાંડા બાવળો ઉગી જવાના કારણે વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય રહે છે. છતા જવાબદાર તંત્ર દ્વારા કોઈ કામગીરી નહી કરવામાં આવતા વાહન ચાલકોમા રોષ ભભૂકી ઉઠયો છે.
લખતર તાલુકાના છારદથી પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તરફના લીંબડ ગામ તરફ જવાનાં માર્ગ ઉપર અડરચણરૃપ બનેલા ગાંડા બાવળોએ અડધો રોડ બાનમાં લેતાં વાહન ચાલકો પરેશાન થઇ ઉઠયા છે. આ બાવળ વધતા છેક અડધા રોડ સુધી પહોંચી જતા વાહન ચાલકોને સામેથી આવતા વાહન ન દેખાતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આથી તંત્ર દ્વારા છારદથી લીંબડ તરફના રોડ ઉપરથી બાવળોનું કટિંગ કરીને તાત્કાલિક હટાવવામાં આવે તેવી રોડ ઉપર પસાર થતા વાહનચાલકો અને ગ્રામ્યવિસ્તારના લોકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.









