Get The App

રેલવે ટ્રેક વચ્ચેની રબરની સીટ્સ બેસી જવાના લીધે અકસ્માતનો ભય

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
રેલવે ટ્રેક વચ્ચેની રબરની સીટ્સ બેસી જવાના લીધે અકસ્માતનો ભય 1 - image


- મહુધા- કઠલાલ રોડ પરના વડથલ ફાટક ઉપર

- ટુવ્હીલર ચાલકોને પડી જવાથી ઈજાગ્રસ્ત થવાના બનાવ વધ્યા : સત્વરે રિપેરિંગ કરાવવા માંગ

નડિયાદ : મહુધાથી કઠલાલને જોડતા મુખ્ય માર્ગ ઉપર વડથલ રેલવે ફાટક પરની કથળેલી સ્થિતિને કારણે વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી છે. ફાટકના પાટા (ટ્રેક)ની વચ્ચે મૂકવામાં આવેલી રબરની સીટો (પેનલ) બેસી જતા વાહન ચાલકોને પસાર થવું જોખમી બન્યું છે. 

ખેડા જિલ્લામાં નડિયાદથી કપડવંજ મોડાસા રેલવે લાઈન પસાર થાય છે. આ રેલ્વે લાઈન પર વડથલ ફાટક પર રેલવે ટ્રેક અને રોડની સપાટી વચ્ચેના ભાગમાં સુરક્ષા માટે અને વાહનો સરળતાથી પસાર થઈ શકે તે માટે રબરની સીટો લગાવાઈ છે. આ રોડ ઉપર વાહનોની અવરજવરના ભારણના કારણે ટ્રેક વચ્ચેની રબરની સીટો ઊંડી બેસી ગઈ છે. પરિણામે ટ્રેક પરથી પસાર થતા વાહનચાલકોને ઝટકા લાગે છે. ફાટક પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો માટે આ ખાડા જીવલેણ સાબિત થઈ શકે છે. 

વાહનો પર કાબૂ ગુમાવતા અકસ્માતની સંભાવના વધી છે. રોજબરોજ માર્ગનો ઉપયોગ કરનારા લોકોને વાહનોને નુકસાન થઈ રહ્યું છે. આ ફાટક પરથી વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ માટે આ પસાર થવું પીડાદાયક બન્યું છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે માર્ગ અને મકાન તેમજ રેલવે તંત્ર સત્વરે રબરની સીટોનું સમારકામ કરે તેવી માંગણી ઉઠી છે.

Tags :