કલેકટરે જાહેરનામું બહાર પાડી ભારે વાહન પર પ્રતિબંધ લાદ્યો છે : નદીમાંથી ડાયવરઝન કાઢવા ચાલુ કરેલી કામગીરી લાંબા સમયથી બંધ હોવાથી વાહનો પૂલ પરથી પસાર થાય છે
ભાયાવદર, : ભાયાવદરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા બે જૂનાં પુલો જોખમી બની જતાં ગમખ્વાર અકસ્માત અટકાવવા માટે કલેકટરે જાહેરનામું બહાર પાડી ભારે વાહનોને પુલ પરથી પસાર થવા સામે પ્રતિબંધ લાદ્યો હતો. આ પછી અહી રૂપાવટી નદીમાં ડાયવરઝન કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. પણ આ કામગીરી લાંબા સમયથી બંધ હોવાથી બધા વાહનો પુલ પરથી પસાર થતા હોવાથી નબળા પુલ પર ગમે ત્યારે અકસ્માત સર્જાવાની દહેશત સર્જાઈ છે.
ગત તા. 15 જુલાઈના રોજ કલેકટરે જાહેરનામુ બહાર પાડી ભાયાવદરના સાગર ચોકથી રેલવે સ્ટેશન સુધીમાં બે પુલ પર ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવતા આ પુલ પર મોટા મોટા અંેગલ મારીને ભારે વાહનોને પ્રતિબંધ કર્યો હતો. એ વખતે વાહનો માટે સ્મશાન તરફથી જૂના રેલવે સ્ટેશન બાજુ અંદાજે એક કિ.મી.ના અંતરે ભારે વાહનો માટે ડાયવર્ઝન કાઢ્યું હતું. એ વખતે નજીકમાં બીજુ ડાયવર્ઝન કાઢવાની પાલિકાએ માગણી કરી હતી પણ આરએન્ડબીએ ના પાડી દીધી હતી. એ પછી આ બન્ને વિભાગ વચ્ચે ખંચતાણ શરૂ થઈ હતી.
પાલિકાએ પુલ પર જેસીબી દ્વારા એંગલને દુર કરી દીધા હતા. આ પછી બાંધકામ વિભાગે ફરી 8 સપ્ટેમ્બરના રોજ એંગલ મારવાની કામગીરી હાથ ધરી હતી. આથી પાલિકા સતાવાળાઓએ સાંસદ અને ધારાસભ્યને રજુઆત કરી આ કામગીરી અટકાવી દીધી હતી. આ પછી બાંધકામ વિભાગે 53 દિવસ પહેલા રૂપાવટી નદીમાંથી બીજું ડાયવર્ઝન કાઢવાની કામગીરી શરૂ કરી હતી. જે આજ સુધી પૂરૂં થયું નથી અને બન્ને પુલ રેલિંગ વગરના છે. જેથી અકસ્માત સર્જાવાની ભીતિ ઉભી થઈ છે.


