ધારીના ભાડેરની સીમમાં દુર્ગંધ આવતાં માનવ કંકાલનો ભાંડો ફુટયો : ઓનર કિલિંગ પાપ છૂપાવવા એક માસ પહેલાં પોતાની વાડીના શેઢેજ પિતાએ ખાડો ખોદી લાશને રફેદફે કરી
અમરેલી, : ધારી તાલુકાના ભાડેર ગામે ઓનરકિલિંગનો કિસ્સો બહાર આવ્યો છેે, જેમાં કામધંધો ન કરતા અને નશાની હાલતમાં અવારનવાર માતા પિતાને પરેશાન કરીને માર મારતા પુત્રની પિતાએ દોરડાથી ગળાફાંસો દઈ હત્યા નીપજાવી લાશને રફેદફે કરવા માટે પોતાની વાડીની નજીક જ ખાડો કરીને લાશને દાટી દીધી હતી. એ પછી ભારે દૂર્ગંધ આવવા લાગતા ભાંડો ફૂટી ગયો હતો.
ભાડેર ગામે મોણવેલ રોડ પર રેલવે સ્ટેશન નજીક વાડી માલિક અને આ પુત્રની હત્યાના આરોપી વશરામભાઈ શામજીભાઈ સેંજલિયાની ઢાકણિયા ઢોરા તરીકે ઓળખાતી જમીન આવેલી છે. જયાં શ્રમિકો બળતણ વીણવા ગયા હતા. એ સમયે માથું ફાટી જાય ેએવી દૂર્ગંધ આવતી હતી. આથી આ મજૂરોએ એના વાડી માલિકને જાણ કરતા તેણે ધારી પોલીસ મથકે જાણ કરી હતી આથી પોલીસ દોડી આવી હતી.
પોલીસને ખાનગી રાહે જાણ થઈ હતી કે વાડી માલિક વશરામભાઈ સેંજલિયાનો પુત્ર છેલ્લા ઘણા દિવસથી ગાયબ છે. આ બાબતે પોલીસે આરોપી વશરામભાઈને હસ્તગત કરીને પ્રાથમિક પુછપરછ કરતાં તે ભાંગી પડયા હતા. એમનો પુત્ર હિતેશ કોઈ કામધંધો કરતો ન હતો. વારંવાર માતા -પિતા સાથે ઝઘડો કરી મારકૂટ કરતો હોવાથી આવેશમાં આવી જઈ તા. 24 નવેમ્બરના રોજ દોરડાથી ગળાફાંસો દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આમ આ લાશ સવા માસ પહેલાની થઈ જતાં કોહવાઈને દૂર્ગંધ મારવા લાગી હતી. આ બનાવના પગલે મામલતદારની હાજરીમાં બનાવની જગ્યાએ ખોદકામ કરતા માનવકંકાલ મળી આવ્યું હતુ. હવે લાશની વિશેષ તપાસ માટે ભાવનગર ફોરેન્સિક પી.એમ માટે મોકલવામાં આવી છે.


