જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં સાઢુભાઈની હત્યા નિપજાવનાર પિતા-પુત્ર ઝડપાયા : અન્ય એક સગીરની અટકાયત કરવા કાર્યવાહી
Jamnagar Crime : જામનગરમાં ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રવિવારે બપોરે એક યુવાનને છરી અને પાઇપ વડે હુમલો કરી હત્યા નીપજાવાઇ હતી. જે હત્યા નીપજાવનાર મૃત્યુ મૃતકના સાઢુભાઈ અને તેના પુત્રની પોલીસે અટકાયત કરી લીધી છે, જ્યારે અન્ય એક સગીરની પણ સંડોવણી હોવાથી તેની અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર પાણાખાણ વિસ્તારમાં રહેતો રોહિત ગીલાભાઈ પરમાર નામનો 32 વર્ષનો યુવાન ગત રવિવારે બપોરે 1.30 વાગ્યાના અરસામાં પાણાંખાણ શેરીના પાંચમાં ઉભો હતો, જે દરમિયાન તેના સાઢુભાઈ નરેશ તુલસીભાઈ પરમાર અને તેના બે પુત્રો સુજલ વગેરેએ આવીને રોહિતની પત્ની તેજલ કે જે રીસાણી બેઠી હતી, અને તેના માવતરે મેટોડા ચાલી ગઈ હતી, જે બાબતે તકરાર કરી હતી.
જ્યાં ઉગ્ર ઝઘડો થયા બાદ નરેશ અને તેના બે પુત્રોએ રોહિત ઉપર છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી દઇ હત્યા નિપજાવી હતી, જેમાં પોલીસે મૃતક રોહિતના પિતા ગીલાભાઈ વીરાભાઇ પરમારની ફરિયાદના આધારે આરોપી નરેશ તુલસીભાઈ પરમાર અને તેના બે પુત્ર સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો.
જે ગુનામાં આરોપી નરેશ પરમાર અને તેના પુત્ર સુજલની અટકાયત કરી લીધી છે, અને પિતા પુત્ર બંનેને બનાવના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, ઉપરાંત તેના સગીરવયના અન્ય એક પુત્રની પણ સંડોવણી હોવાથી તેની અટકાયત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.