વડોદરા કોર્પોરેશને ખોદેલા ખાડામાં રિક્ષા પલટી મારી : બે સંતાનોના પિતાનું મૃત્યુ
Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે સરદાર એસ્ટેટથી વૃંદાવન જતા માર્ગ પરના ખાડામાં રિક્ષા પલટી ખાઈ જતા 38 વર્ષીય અનિલભાઈ ઠાકોરભાઈ વસાવાનું મોત નીપજ્યું હતું. બ્રિજની કામગીરીના ભાગરૂપે કેટલીક પાણીની લાઈન શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીની લાઈન ખોદ્યા બાદ રસ્તાનું યોગ્ય સમારકામ ન કરાતાં ખાડામાં અનિલભાઈની રિક્ષા પલટી ખાતાં આ અકસ્માત સર્જાયો હતો.
બાપોદ વુડાના મકાનમાં રહેતા 38 વર્ષીય અનિલભાઈ ઠાકોરભાઈ વસાવાનો વહેલી સવારે અકસ્માત સર્જાતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. યુવકનું મોત થતાં પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. મૃતક યુવક અનિલભાઈ પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય હતા. તેમને બે વર્ષનું એક બાળક અને એક મોટી દીકરી છે. આ ઘટનાથી બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જે અત્યંત દુઃખદ છે.