સસરા અને પત્નિએ મળી પતિને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

- બોરતળાવ વિસ્તારમાં ધોળા દિવસે ખુની ખેલ ખેલાયો
- ઘરકંકાસના લીધે પતિ-પત્નિ અલગ રહેતા હતા અને કોર્ટમાં ભરણ-પોષણનો કેસ ચાલતો હતો
શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા સુરેશભાઈ શરદભાઈ રાઠોડ આજે બપોરના સમયે હોસ્પિટલેથી ઘરે જતાં હતા, તે દરમિયાન બપોરના ૧૨.૧૫ કલાકના અરસામાં બોરતળાવ વિસ્તારમાં આવેલા ગુરૂનગરના નાકે પહોંચતા તેમના સસરા મનસુખ નટુભાઈ પરમાર અને તેમના પત્નિ મીનાબેન સુરેશભાઈ રાઠોડે ભેગા મળી તેમના પર તિક્ષ્ણ છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી દીધી હતી. બનાવની જાણ થતાં બોરતળાવ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડયો હતો. બનાવ અંગે મૃતકના નાનાભાઈ નિતીનકુમાર શરદભાઈ રાઠોડ (રહે.સર્વોદય સોસાયટી)એ બોરતળાવ પોલીસ મથકમાં મનસુખ નટુભાઈ પરમાર અને મીનાબેન સુરેશભાઈ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના મોટાભાઈ અને ભાભી વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હોય અને ખાધા ખોરાકીનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, જે મામલે તેમના ભાઈના પત્નિ અને સસરાએ મળીને હત્યા કરી હતી. આ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બન્ને બાળકોને પતિ પાસે મુકી પત્નિ બે વર્ષથી પત્નિ રિસામણે હતી
આ બનાવના મૃતક સુરેશભાઈ શરદભાઈ રાઠોડ અને મીનાબેનના લગ્ન ૨૦ વર્ષ પહેલા થયાં હતા અને છેલ્લા બે વર્ષથી પતિ-પત્નિ વચ્ચે ખટરાગ ચાલતો હોવાથી અવારનવાર ઝઘડા થતાં હતા અને મીનાબેન છેલ્લા બે વર્ષથી બે બાળકોને પતિ પાસે મુકી પિયર રિસામણે ચાલ્યા ગયા હતા.









