આખી જિંદગી ખેતી કરી, પુત્રએ ફરવા લંડન બોલાવ્યા અને પહેલીવાર પ્લેનમાં બેસતાં ગુમાવ્યો જીવ
Ahmedabad Plane Crash: અમદાવાદમાં લંડન માટે ટેકઓફ કરનાર પ્લેન ગણતરીની મિનિટોમા ક્રેશ થતા સમગ્ર દેશ સ્તબ્ધ બની ગયો છે. આ દુર્ઘટનામાં વિસનગર તળ કડવા પાટીદાર સમાજના બે પુરુષ અને ત્રણ મહિલાનુ મૃત્યુ થતા સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. એરપોર્ટ ઉપર વિદાય આપી પરિવારના સભ્યો અને મિત્રો પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ પ્લેન ક્રેશ થયાની જાણ થઈ હતી.
વિસનગર તળ કડવા પાટીદાર સમાજમાં માતમ
અમદાવાદથી લંડન માટે ટેકઓફ થયેલુ એર ઈન્ડીયાનું પ્લેન મેઘાણીનગરમાં ક્રેશ થયાના બનાવથી અત્યારે વિસનગર તળ કડવા પાટીદાર સમાજમાં માતમ છવાયો છે. પ્લેનમાં ફતેહ દરવાજા પોયડાના માઢના દિનેશકુમાર કાન્તીલાલ પટેલ અને તેમના પત્ની ક્રિશ્નાબેન દિનેશકુમાર પટેલ, ફતેહ દરવાજા પાછલી શેરીમાં રહેતા દશરથભાઈ જોઈતારામ પટેલ અને તેમના પત્ની ડાહીબેન દશરથભાઈ પટેલ તથા ગંજી વિસ્તારના અંકીતાબેન વસંતકુમાર પટેલ લંડન જવા રવાના થયા બાદ પ્લેન ક્રેશ થતા જીવ ગુમાવ્યો હતો.
પહેલીવાર પ્લેનમાં બેસતાં ગુમાવ્યો જીવ
દિનેશકુમાર કાન્તીલાલ પટેલે આખી જીંદગી ખેતી કરી હતી. તેમનો પુત્ર લંડન હોવાથી માતા પિતાને ફરવા માટે બોલાવ્યા હતા. પ્રથમ વખત વિદેશયાત્રાએ જતા હોવાથી મિત્રોએ દિનેશકુમાર પટેલને પીંડારીયા ખેતરમાં પાર્ટી પણ આપી હતી. જેમાં હિન્દી ફિલ્મનું 'તું કલ ચલા જાયેગા તો મે ક્યા કરૂંગા' ગીત પણ વગાડ્યુ હતું. ત્યારે મિત્રોને ક્યા ખબર હતી કે વિદેશ જતા મિત્ર સાથેની આ છેલ્લી મુલાકાત હશે. જેમને અમદાવાદ એરપોર્ટ મુકવા માટે મિત્રો પણ સાથે ગયા હતા.
લગ્નના છ માસ બાદ યુવતી પતિને મળવા જતી હતી
વિસનગર ગંજી વિસ્તારના અંકીતાબેન પટેલ લંડનમાં રહેતા તેમના પતિ વસંતકુમાર મહેન્દ્રભાઈ પટેલને મળવા માટે જઈ રહ્યા હતા. આ યુવતીના હજુ છ મહિના પહેલા જ લગ્ન થયા હતા ત્યારબાદ લંડનના વિઝા મળતા પતિને મળવા જવા માટે ઉત્સુક હતા. તેણીને ગંજીના નાકે આવેલી ઉંચી ફળીના માઢ આગળથી તેમના સ્નેહીજનોએ હોંશેહોંશે વિદાય આપી હતી. પરંતુ તેમના સ્નેહિજનોને પણ ક્યા ખબર હતી કે દિકરીને આપેલી વિદાય છેલ્લી હશે. પ્લેન ક્રેશની દુર્ઘટનાથી તળ કડવા પાટીદાર સમાજમાં અત્યારે માતમ છવાયો છે.