Gujarat News: દેશભરમાં લોકોને વિદેશ જવાની ઘેલછાએ માજા મૂકી છે. મહેસાણામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક બાપે પોતાના દીકરાને વિદેશ મોકલવા માટે પોતાનો જીવ લઈ લીધો હતો. આ ઘટનાથી સમગ્ર મહેસાણા જિલ્લામાં ચકચારી મચી જવા પામી છે.
શું હતી ઘટના?
મહેસાણાના ગોઝારીયા ગામમાં કૌશિક પંચોલીએ પોતાના દીકરાને વિદેશ જવાની ઈચ્છા પૂરી કરવા માટે અમદાવાદના એજન્ટની મદદ લીધી હતી. કૌશિક પંચોલીએ એજન્ટ ગૌરવ મોદી, કમલેશ પટેલ અને ચિરાગ પટેલની મદદથી પુત્રને વિદેશ મોકલ્યો હતો. દીકરો વિદેશ પહોંચ્યો બાદમાં એજન્ટ્સે કૌશિક પંચોલી પાસે પૈસાની ઉઘરાણી કરવાનું શરૂ કર્યું હતું. જોકે, તેમની આર્થિક સ્થિતિ કથળતી હોવાના કારણે તે પૈસા ચૂકવી નહતા શક્યાં. બાદમાં જો પૈસા નહીં આપે તો મારી નાંખવાની ધમકીઓ મળવા લાગી હતી,. જેનાથી કંટાળી કૌશિક પંચોલીએ પોતે જ્વલનશીલ પ્રવાહી આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું હતું.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન શરૂ, 'કરાર આધારિત ભરતી બંધ કરો, કાયમી ભરતી કરો'
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતાં જ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. લાંઘણજ પોલીસે હાલ ત્રણેય શખસ સામે આત્મહત્યા કરવા દુષ્પ્રેરણનો ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સમગ્ર મામલે જણાવ્યું કે, આ ત્રણેય શખસો અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારના રહેવાસી છે. તેમણે કૌશિક પંચોલીના દીકરાને વિદેશ મોકી આપ્યો હતો અને બાદમાં રૂપિયા માટે દબાણ કરતા હતા. પોતાની રૂપિયા મેળવવા માટે તેમણે કૌશિકભાઈ સાથે ગાળાગાળી તેમજ ઝપાઝપી પણ કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર ઘટનાથી નાસિપાસ થઈ કૌશિક પંચોલીએ પોતે આપઘાત કરી લીધો હતો.
ચોંકાવનારી રીતે વધી આત્મહત્યાની સંખ્યા
નોંધનીય છે કે, છેલ્લાં એક વર્ષમાં મહેસાણા જિલ્લામાં ચોંકાવનારા 275 આત્મહત્યાના કેસ નોંધાયા છે. જે લોકોની માનસિક સ્થિતિને લઈને સવાલ ઊભા કરે છે.


