Morbi News: મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક અત્યંત કરુણ ઘટનામાં પિતા અને પુત્રીનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આ ઘટના હળવદના મિયાણી ગામની સીમમાં બની હતી, જ્યાં ખેતમજૂરી કરતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, મૃતકોની ઓળખ સંજયભાઈ પારસિંગભાઈ રાઠવા (ઉંમર 41) અને તેમની પુત્રી ક્રિષ્ના સંજયભાઈ રાઠવા (ઉંમર 3) તરીકે થઈ છે. આ પરિવાર મૂળ છોટા ઉદેપુર જિલ્લાના ચીમલી ગામનો વતની હતો અને મિયાણી ગામની સીમમાં એક વાડીમાં રહીને ખેતમજૂરી કરતો હતો.
સોમવારે (29 સપ્ટેમ્બર) સંજયભાઈ અને તેમની નાની પુત્રી ક્રિષ્ના વાડી નજીક આવેલા તળાવમાં ન્હાવા ગયા હતા. કમનસીબે, ન્હાવા દરમિયાન બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી તેમના મોત નિપજ્યા હતા.
એક જ પરિવારના પિતા અને પુત્રીના એક સાથે મૃત્યુથી સમગ્ર શ્રમિક પરિવારમાં અને સ્થાનિક વિસ્તારમાં શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના અંગે હળવદ પોલીસે જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ બનાવથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.


