ગોંડલના બીલીયાળા ગામે વાડીમાં વીજ કરંટથી પિતા-પુત્રનાં કરૂણ મોત
વાડીની ઓરડીમાં પાણીની ઇલે. મોટર ચાલુ કરવા જતાં બનાવ
બે બહેનોના એકના એક ભાઇનું રક્ષાબંધન પૂર્વે મોત નીપજતાં પરિવારમાં કલ્પાંત ઃ યુવાન રાજકોટની કોલેજમાં અભ્યાસ કરતો હતો
પ્રાપ્ત વિગત મુજબ બીલીયાળા રહેતા ભીખાભાઈ ભવાનભાઇ હિરપરા (ઉ.વ.૫૫) અને તેમનો પુત્ર ક્રીશ (ઉ.વ.૧૯) નિત્યક્રમ મુજબ સાંજે પોતાની વાડીએ ગયા હતા. વાવણી કરી હોઈ મોલાતને પાણી પીવડાવવા માટે વાડીની ઓરડીમાં જઇ પાણીની મોટર ચાલુ કરવા જતા પિતા પુત્રને જોરદાર વીજ કરંટ લાગતાં બન્ને ફંગોળાયા હતા અને ઘટના સ્થળે જ બન્નેનાં મોત નિપજ્યાં હતાં. મોડી સાંજ થવા છતા પિતા-પુત્ર ઘરે પરત નહી ફરતા ભીખુભાઈનાં પત્નીએ વારંવાર મોબાઇલ કરવા છતા માત્ર રિંગ વાગતી હતી, જેથી કંઇક અજુગતુ બન્યાની શંકાએ પાડોશમાં રહેતા ભરતભાઈને જાણ કરતા તેઓ વાડીએ દોડી ગયા હતાં અને પિતા-પુત્રને મૃત હાલતમાં જોતા તેમણે સગા સબંધીઓને જાણ કરી હતી.
બનાવનાં પગલે બીલીયાળાનાં સરપંચ, યુવા અગ્રણી ગણેશભાઈ સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી ઉઠયા હતા અને પોલીસને જાણ કરી હતી. પિતા-પુત્રનાં મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની કરુણતા એ હતી કે પાંચ દિવસ પછી રક્ષાબંધનનું પર્વ આવી રહ્યું છે તે પહેલા બે બહેનોનો લાડકવાયો ભાઈ અને પરિવારનો આધારસ્તંભ ક્રિશનું મૃત્યુ થતા બહેનો સહિત પરિવાર હતપ્રભ બન્યો હતો. ઉપરાંત, પરિવારનાં મોભી ભીખાભાઈનું પણ મોત નિપજ્યુ હોવાથી પિતા-પુત્રનાં અકાળે મૃત્યુથી પરિવાર નોંધારો બન્યોછે.
ભીખુભાઈ ખેતીકાર્ય કરતા હતા, પુત્ર ક્રિશ બીબીએનો વિદ્યાર્થી હતો
ભીખુભાઈ ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં બે પુત્રીઓ અને એક પુત્ર ક્રીશ હતો. ક્રિશ રાજકોટની આત્મિય કોલેજમાં બીબીએનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ઘટનાની જાણ થતા પીજીવીસીએલ સ્ટાફ તથા તાલુકા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી આવી તપાસ હાથ ધરી હતી.