Accident in Patan: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને રીક્ષા વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
રીક્ષા અને કાર વચ્ચેની ટક્કર જીવલેણ નીવડી
મળતી માહિતી મુજબ, આ અકસ્માત બ્રાહ્મણવાડા ગામની નજીકના મુખ્ય રસ્તા પર સર્જાયો હતો.અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિઓ ચાણસ્મા તાલુકાના છમિછા ગામના હોવાનું સામે આવ્યું છે. રીક્ષા અને કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેના કારણે બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અન્ય બે વ્યક્તિઓને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસ શરૂ
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને ઝડપી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતક બંને વ્યક્તિઓની ડેડબોડીને ધારપુર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને અકસ્માત કેવી રીતે સર્જાયો તેની વધુ તપાસ હાથ ધરી છે.


