અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Accident: અમદાવાદ-બગોદરા હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. હાઈવે પર આવેલા ટોલનાકા નજીક એક અજાણ્યા વાહને બાઈક સવારને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
કેવી રીતે સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, મીઠાપુર ગામના રહેવાસી વિક્રમભાઈ ગોહેલ બાઈક લઈને અમદાવાદ-બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ટોલનાકા પાસે કોઈ અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે વિક્રમભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અજાણ્યો વાહનચાલક ફરાર
અકસ્માતની જાણ થતા જ બગોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ મીઠાપુર ગામના વિક્રમ ગોહેલ તરીકે થઈ હતી. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો.
મૃતકના પરિવારમાં શોકનું મોજું
બગોદરા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે હાઈવે પરના અને ટોલનાકાના સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મીઠાપુર ગામમાં અને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.








