સુરેન્દ્રનગરમાં કેનાલ પર ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓનો ધેરાવો કયો
મોરબી બ્રાન્ચ કેનાલમાં પિયતનું પાણી બંધ કરાતા હાલાકી
વઢવાણ, ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાના ૧૦૦થી વધુ ગામોના ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતી
કેનાલમાં પાણી શરૃ કરવામાં નહીંં આવે તો ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચિમકી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર ખાતે નર્મદા કેનાલ પર ખેડુતોએ નર્મદા વિભાગના અધિકારીઓનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ કર્યો હતો અને મોરબી બ્રાન્ચ કેનાલમાં બંધ કરેલ પાણી તાત્કાલીક શરૃકરવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ આ અંગે યોગ્ય ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચમકી પણ ઉચ્ચારી છે.
નર્મદા વિભાગ દ્વારા મોરબી બ્રાન્ચ કેનાલમાં જાણ વગર અચાનક પાણી બંધ કરી દેતા કેનાલ હેઠળ આવતા વઢવાણ, ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાના ૧૦૦થી વધુ ગામોના ખેડૂતોને પીયત માટે મળતું પાણી બંધ થઈ જતા નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. નર્મદા વિભાગ દ્વારા શરૃઆતમાં ૧૦ દિવસ સુધી કેનાલ દ્વારા પાણી આપતા ખેડૂતોએ મગફળી સહિતના પાકોનું વાવેતર કરી નાંખ્યું હતું. ત્યાર અચાનક પાણી બંધ કરી દેતા પાકોને નુકસાન પહોંચી રહ્યું છે. જે મામલે રજુઆત કરવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ કે તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા રોષે ભરાયેલા ખેડૂતો નર્મદા કેનાલ પર એકત્ર થયા હતા અને પાણી આપવાની માંગ સાથે સરકાર તેમજ નર્મદા વિભાગના અધિકારીઓ સામે સુત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોએ તાત્કાલીક કેનાલમાં પાણી ફરી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.