Gujarat

25-30 રૂપિયે વેચાતી ડુંગળીના ખેડૂતોને રૂા.12 પણ માંડ મળે છે

By GS TEAM
21 Dec 20251 min read
25-30 રૂપિયે વેચાતી ડુંગળીના ખેડૂતોને રૂા.12 પણ માંડ મળે છે

ડુંગળીના પડતર ભાવ સુધ્ધાં ન મળતાં જગતાત હતાશ

કિસાનોને ખેતરેથી વેંચવા આવવાનો ખર્ચ માથે પડે છે, તો બીજી તરફ માંગ વધતાં નફાખોર વેપારીઓને ખાસ્સી કમાણી

જૂનાગઢ: ઠંડીમાં વધારો થતા જ શાકભાજીની આવકમાં વધારો થઈ રહ્યો છે. યાર્ડમાં કસ્તુરીની પણ મબલખ આવક થઈ રહી છે. જૂનાગઢ યાર્ડમાં ચાર દિવસમાં ૫૬૦ ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ તે સાથે ભાવમાં કડાકો થયો છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનું મણના રૂા.૫૦થી ૨૫૦ જેવા સસ્તા ભાવે વેચાણ થઈ રહ્યું છે.

ડુંગળીનું વાવેતર જૂનાગઢ જિલ્લામાં ૨૩૫૨ હેક્ટરમાં થયું છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં જિલ્લાના આસપાસના ખેડૂતો જ ડુંગળીનું વેચાણ કરવા પહોંચી રહ્યા છે. ડુંગળીની આવકમાં વધારો થયો પરંતુ ખેડૂતોને તો સસ્તા ભાવે જ ડુંગળીનું વેચાણ કરવું પડી રહ્યું છે. વાવેતરથી લઈ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવા ખાસ્સો ખર્ચ થતો હોવાથી અને ડુંગળીના સામાન્ય ભાવ મળતા હોવાથી ખેડૂતો નિસાસા નાખી રહ્યા છે.

બીજી તરફ, ડુંગળીના ભાવ ઓછા હોવા છતાં બજારમાં વેપારીઓ દોઢથી બે ગણા ભાવ મેળવી નફાખોરી કરી રહ્યા છે. સપ્તાહમાં માર્કેટિંગ યાર્ડમાં હોલસેલમાં પ્રતિ કિલો માત્ર રૂા.ર.૫૦થી ૧૨.૫૦ સુધીના ભાવે ડુંગળી મળી રહે છે. પરંતુ સ્થાનિક બજારમાં વેપારીઓ હજુ પણ પ્રતિ કિલોના રૂા.૨૫થી ૩૦ના ભાવે ડુંગળીનું વેચાણ કરી રહ્યા છે. શિયાળામાં ડુંગળીનો વધુ ઉપાડ થઈ રહ્યો છે, જેથી માંગ હોવાથી વેપારીઓ ડુંગળીનું મબલખ વેચાણ કરી આવક કરી રહ્યા છે.