Gujarat

સાવરકુંડલા અને લીલિયા તાલુકાના ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી

By GS TEAM
6 Aug 20251 min read
સાવરકુંડલા અને લીલિયા તાલુકાના ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી

ખેડૂતોને સ્પર્શતા 8 મુદ્દાઓનું આવેદન અપાયું : ખાતર, વીજળી, ધીરાણ, ફર્ટિલાઇઝરમાં ભાવવધારા અંગે 1,000 ખેડૂતોએ પ્રાંત કચેરીને ઘેરાવ કર્યો

સાવરકુંડલા, : ખેડૂતોને સ્પર્શતા ખાતર, વીજળી, ધીરાણ સહિતના આઠ જેટલા મુદ્દાઓને લઇને આજે અહીંની પ્રાંત કચેરીએ સાવરકુંડલા, લીલિયા તાલુકાના આશરે 1000 ખેડૂતોએ પ્રાંત કચેરીને ઘેરાવ કરી સુત્રોચ્ચાર સાથે આવેદન આપ્યું હતું. કચેરીએ પહોંચતા પહેલા સૌ રેલીમા ંજોડાયા હતાં.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને અન્ય આગેવાનોના નેતૃત્વમાં પ્રાંત અધિકારીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છ કે અતિવૃષ્ટિ વેળા ખેડૂતોને વળતર આપવાની જાહેરાતો સરવાળે પોકળ સાબિત થાય છે. 2024માં આવી જાહેરાત થયા પછી ખેડૂતોને વળતર આપ્યું નથી. ખેડૂતોને અતિવૃષ્ટિ વેળા પાકને બચાવવા યુરિયા ખાતરની જરૂર પડે છે જે ઉપલબ્ધ થતું નથી. આ ઉપરાંત એનપીકે અને પોટાશ ખાતરમાં તોતીંગ ભાવવધારો લાદી દીધો છે.

ખેતીવાડી ફીડરોમાં પાવર સપ્લાયના ધાંધિયા થાય છે. કિસાનોને સમયસર વીજળી મળતી નથી. દરેક ખેડૂતને 12 કલાક વીજળી મળે તેવો પ્રબંધ થતો નથી. સાવરકુંડલા-લીલિયા પંથકમાં અતિવૃષ્ટિથી ખેતરો ધોવાઇ ગયા છે તેનું સત્વરે વળતર આપવા માગણી કરી છે