વડોદરા નજીક પાતરવેણી ગામમાં વીજ વાયરોની ચોરી થતા ખેડૂતોને વીજ પુરવઠો મળવામાં હાલાકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા નજીક આવેલા પાતરવેણી ગામમાં વાયર ચોરી અને વીજ સમસ્યાથી ખેતરમાં ઉભા પાક માટે પાણીનું સંકટ સર્જાતા પોલીસમાં અરજી આપી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. વરણામા પોલીસ સ્ટેશનના પીઆઈને ગામના રહીશે લેખિત અરજી આપી ગંભીર સમસ્યાઓ અંગે રજૂઆત કરી છે. અરજીમાં જણાવાયું છે કે, તા.૩ એપ્રિલે ગામના થાંભલાના વીજ વાયરો અજાણ્યા તત્વો દ્વારા કાપી ચોરી કરવામાં આવ્યા છે. આ ઘટનાના કારણે ગામની આઠ મોટર બંધ પડી ગઈ છે, જેના કારણે પાણી મળતું નથી અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.
પાણીના અભાવે ખેતી પર પણ સીધી અસર પડી રહી છે. ખાસ કરીને દિવેલા, તુવેર અને સુઠીયા જેવા પાક સુકાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. રહીશે તાત્કાલિક તપાસ કરી દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે જ રહીશે જાંબુવા વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયરને પણ લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે તેમના ઘરનું વીજ મીટર છેલ્લા બે મહિનાથી બગડેલું છે. વારંવાર જાણ કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ઘરમાં વીજ પુરવઠો બંધ છે.
રહીશે વધુમાં જણાવ્યું છે કે તેમના ઘર નજીક વાંદરાઓ દ્વારા અનેક વખત વાયરો તોડી નાખવામાં આવ્યા છે, જેના કારણે જોખમ પણ ઉભું થયું છે. તેથી તાત્કાલિક નવા વાયરો નાખવા તેમજ મીટર બદલવાની માંગ કરવામાં આવી છે.









