Gujarat

દશરથ ગામે રોડ ક્રોસ કરતા ખેડૂતને બાઇકચાલકે ટક્કર મારતા મોત

By GS TEAM
29 Jan 20261 min read
દશરથ ગામે   રોડ ક્રોસ કરતા ખેડૂતને બાઇકચાલકે ટક્કર મારતા મોત

 વડોદરા,દશરથ ગામ પાસે રોડ ક્રોસ કરતા આધેડને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. ૧૩ દિવસની સારવાર પછી ઇજાગ્રસ્તનું મોત થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

દશરથ ગામ માતાજી ફળિયામાં રહેતા વિનુભાઇ મણીભાઇ સોલંકી (ઉં.વ.૫૩) ખેતી કામ કરે છે. ગત ૧૬ મી તારીખે સાંજે સાડા પાંચ  વાગ્યે માધવનગર ખાતે આવેલા તેમના ખેતરે  ગયા હતા.ત્યાંથી તેઓ ચાલીને પરત આવતા હતા. નેશનલ હાઇવે વેરાઇ માતાના મંદિર પાસે દશરથ ગામ પાસે તેઓ રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન ત્રણ સવારી આવતા બાઇકચાલક રણછોડભાઇ બચુભાઇ સોલંકી, ઉં.વ.૬૮ (રહે. ડિફેન્સ કોલોની, ન્યુ સમા રોડ) એ તેઓને ટક્કર મારતા તેઓને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે બંને પક્ષે સમાધાન થઇ ગયું હતું. પરંતુ, વિનુભાઇનું સારવાર દરમિયાન મોત થતા છાણી પોલીસે બાઇકચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.