સૌરાષ્ટ્રનાં પ્રસિધ્ધ મંદિરો દ્વારકા, સોમનાથ, ચોટીલા, ખોડલધામ આજથી દર્શન માટે ખુલશે
- બે મહિનાથી દર્શન માટે અધિરા ભકતોમાં આનંદની લાગણી
- સોમનાથ - દ્વારકામાં આરતીમાં પ્રવેશબંધી,પરિસરમાં બેસવા છૂટ નહિ ,
સોમનાથ મહાદેવનું મંદિર પણ 61 દિવસ બાદ આવતીકાલ તા. 11 મીથી ખોલવામાં આવી રહયુ છે : કોવિડ ગાઈડ લાઈન સાથે મંદિરો દર્શન વ્યવસ્થાઓમાં ફેરફાર તથા મંદિરોને સેનેટાઈઝ કરી દર્શન માટે ખોલવા તૈયારીઓ
રાજકોટ, : કોરોનાની બીજી લહેર શરૂ થતા જ એપ્રિલ મહિનાની શરૂઆતથી જ સંક્રમણ ખાળવા મંદિરો નાં દ્રાર ભાવિકો માટે બંધ કરવામાં આવ્યા હતા હવે કોરોના હળવો પડયો હોય સરકારની કોવિડ લાઈન મુજબ આવતીકાલ તા. ૧૧ મીથી સૌરાષ્ટ્રનાં સુપ્રસિધ્ધ મંદિરો દ્રારકા, સોમનાથ, ચોટીલા, ખોડલધામ સહિતનાં મંદિરોનાં દ્વાર ભકતો માટે ખુલી રહયા છે. છેલ્લા બે મહિનાથી ભાવિકો દર્શન માટે અધિરા હોય આનંદની લાગણી જોવા મળી રહી છે. મંદિરો પરિસરોને સેનેટાઈઝ કરી દર્શન માટેની તૈયારીઓ ટ્રસ્ટો દ્વારા કરવામાં આવી રહી છે.
બે મહિના બાદ સરકારે આપેલી છૂટ બાદ હવે મંદિરો ખોલવાનો ટ્રસ્ટોએ નિર્ણય લીધો છે પરંતુ કોવિડ ગાઈડ લાઈનનું ચૂસ્ત પાલન કરવાની સાથે મંદિરોમાં દર્શન વ્યવસ્થાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરોમાં પ્રવેશ માટે માસ્ક ફરજીયાત અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટેની સૂચનાઓ અપાઈ છે. યાત્રાધામ દ્રારકાનું જગત મંદિર તા. ૧૧ મીથી દર્શન માટે ખોલવામાં આવશે પરંતુ મંદિર પરિસર મોક્ષ દ્રાર તેમ જ છપ્પન સિડી સ્વર્ગ દ્રારથી મંદીરમાં પ્રવેશ કરી શકાશે. માત્ર પ૦ વ્યકિતની મર્યાદામાં જ ભકતો મંદિરમાં પ્રવેશ કરી શકશે દર્શન કરી શકાશે પરંતુ આરતીમાં ભાગ લઈ શકાશે નહિ અને મંદિરની પ્રદક્ષિણા કરી શકાશે નહિ. મંદીર પરીસરમાં ઉભા રહેવા દેવાની પણ છૂટ આપવામાં આવી નથી. ધ્વજા મનોરથ માટે પાંચ વ્યકિતઓ મંદિરમાં પ્રવેશ કરી શકશે.
સોમનાથ મહાદેવનું મંદિર પણ ૬૧ દિવસ બાદ આવતીકાલ તા. ૧૧ મીથી ખોલવામાં આવી રહયુ છે. સવારે ૭.૩૦ કલાકે મંદીર પ્રવેશ માટે ખુલશે મંદિર પરિસરથી માંડી ગર્ભ ગૃહમાં દર્શન સુધી સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે સફેદ કલરનાં રાઉન્ડ અંકિત કરવામાં આવ્યા છે. દર્શનાર્થીઓ માટે માસ્ક ફરજીયાત પહેરેલુ હોવુ જોઈએ અને ગેઈટ પર થર્મલ ગનથી સ્ક્રીનીંગ કરાશે. ભાવિકોએ સોમનાથ મહાદેવનાં દર્શન કરીને તરત જ બહાર નીકળી જવાનું રહેશે પરિસરમાં બેસવાની છૂટ આપવામાં આવી નથી. મંદિરમાં આરતીમાં પણ ભાગ લઈ શકાશે નહિ.
રાજકોટ જિલ્લામાં જેતપુર નજીક કાગવડ ખાતે આવેલું ખોડલધામ મંદિર પણ તા. ૧૧ મીથી દર્શન માટે ખોલવામાં આવશે. સવારનાં ૭ થી સાંજના ૭ સુધી મંદિર ખુલશે. ધ્વજા રોહણ માટે પ૦ વ્યકિતને છૂટ ટ્રસ્ટી મંડળે છૂટ આપી છે. ઉંઝા મંદિર પણ ૧૧ મીથી ખુલી રહયુ છે. ચોટીલા ડુંગર મંદિરનાં દ્રાર પણ શુક્રવારથી સવારનાં ૭ થી સાંજના ૬ સુધી ખુલશે. ભાવિકોએ કોવિડ ગાઈડ લાઈનનું ચૂસ્ત પાલન કરવુ પડશે. દરિમયાન વીરપુરમાં જલારામ મંદિર તા. ૧૪ મી જૂન સોમવારથી દર્શન માટે ખુલશે. ૧૧ એપ્રીલથી જલારામ મંદિર બંધ રાખવામાં આવ્યુ છે. વીરપુરમાં આવેલા માનકેશ્વર મંદિર પાસેથી રજીસ્ટ્રેશન ઓફિસથી ટોકન લઈને મંદીરમાં પ્રવેશ આપવામાં આવશે.