પરિવાર ગોવા ફરવા ગયો અને ઘરમાંથી ૧.૭ લાખની મત્તાની ચોરી

સુઘડની બાલાજી અગોરા વસાહતમાં તસ્કરો ત્રાટક્યા
ગેલેરીના સ્લાઇડર તોડીને પ્રવેશેલા તસ્કરો દાગીના અને રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયા ઃ પોલીસની તપાસ
શિયાળાની ઠંડીની સાથે હવે તસ્કર ટોળકી પણ સક્રિય થઈ ગઈ છે
ત્યારે બંધ મકાનોને નિશાન બનાવી રહી છે. ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં
ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે સુઘડમાં આવેલી બાલાજી અગોરા વસાહતમાં
ચોરીની ઘટના બહાર આવી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બાલાજી
અગોરા વસાહતમાં રહેતા રૃબીબેન ધર્મેન્દ્રસિંહ રાજપૂત દ્વારા ફરિયાદ નોંધાવવામાં
આવી હતી કે, તેમના
પતિ કચ્છ ખાતે કંપનીમાં નોકરી કરે છે અને પંદર દિવસે ઘરે આવે છે. જ્યારે તેમની
પુત્રી મહારાષ્ટ્ર ખાતે તેની સાસરીમાં રહે છે. જ્યારે પુત્ર નોકરી માટે હૈદરાબાદ
રહે છે. આ દરમિયાન તેઓ તેમના પુત્ર પુત્રી સાથે ગત ૧૨ ડિસેમ્બરના રોજ ગોવા ફરવા
ગયા હતા અને ૨૩ ડિસેમ્બરના રોજ પરત ફર્યા હતા. ગઈકાલે તેમને ઘરમાં તપાસ કરતા
કબાટના લોકર તૂટેલી હાલતમાં હતા અને તેમાંથી દાગીના અને રોકડ મળીને ૧.૭ લાખની
મત્તા ચોરાઈ હોવાનું જણાયું હતું. જેથી તેમણે તપાસ કરતા ઘરમાં ગેલેરીના સ્લાઇડર
તૂટેલી હાલતમાં હતા અને મચ્છરદાની પણ કાપવામાં આવી હતી. જેથી તસ્કરો અહીંથી પ્રવેશ્યા
હોવાની શંકા વ્યક્ત કરી હતી.
આ ઘટના સંદર્ભે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ
ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પડવા દોડધામ શરૃ કરી
હતી.








