પરિણીતાને મારઝૂડ કરવા બદલ પરિવારને 1 વર્ષ સાદી કેદ
- 6 વર્ષ જુના કેસમાં ઉમરાળા કોર્ટનો ચુકાદો
- ગારિયાધારમાં રહેતાં સાસરિયાઓ વિરૂદ્ધ પરિણીતાએ ચારિત્ર્ય પર શંકા કરી , ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી
પ્રાપ્ત વિગત મુજબ હાલ ઉમરાળામાં રહેતા વંદનાબેન ખુશાલભાઈ સોલંકીને તેના સાસરિયા પક્ષ દ્વારા અવાર-નવાર ઘરકામ બાબતે મેણાં-ટોણાં મારતા હતા. તો, પતિને ચડામણી કરતા તેણે પણ ઝઘડો કરી ચારિત્ર્ય ઉપર શંકા કરી ગાળો દઈ મારકૂટ કરી મુંઢ માર મારી ઈજા પહોંચાડી શારીરિક-માનસિક ત્રાસ ગુજારી પૈસાની માંગણી કરી હતી. જે બનાવ અંગે પરિણીતાએ તેના પતિ ખુશાલ મનુભાઈ સોલંકી, સસરા મનુ જેરામભાઈ સોલંકી, સાસુ કાંતુબેન સોલંકી (ચાલુ કેસ દરમિયાન મૃત્યુ પામ્યા), નણંદ દયાબેન અને અનિતાબેન મનુભાઈ સોલંકી સામે ગત તા.૭ જુલાઈ,૨૦૧૯ના રોજ ઉમરાળા પોલીસમાં ઘરેલું હિંસાની વિવિધ કલમ અન્વયે ફરિયાદ નોંધાવી હતી. જે અંગેના કેસની સુનવણી થતાં ઉમરાળાના પ્રિન્સિપાલ જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વાય.કે. ખાંટે સરકારી વકીલ ડી.એસ. મકવાણાની દલીલ, મૌખિક અને દસ્તાવેજી પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી ખુશાલ સોલંકી, મનુ સોલંકી, દયાબેન સોલંકી અને અનિતાબેન સોલંકીને એક વર્ષ સાદી કેદની સજા તેમજ પિતા-પુત્રને રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.ઉલ્લેખનિય છે કે, આરોપીઓને થયેલી સજા મોકૂફ રાખવા અને જામીનમુક્ત કરવાની થયેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી પ્રત્યેક આરોપીએ રૂા.૧૫ હજારના જામીન તથા જાતમુચરકો કરી આપ્યેથી ફરમાવેલ સજાના હુકમની અમલવારી ૩૦ દિવસ સુધી મોકૂફ રાખવા આદેશ કર્યો હતો.