- ગેટ પાસે બેભાન થયા બાદ ૩૫ વર્ષના યુવાનનું મોતઃ પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી દીધોઃ નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી
સુરત :
હજીરા ખાતે અદાણી કંપનીના ગેટ પાસે બેભાન મળ્યા બાદ મોતને ભેટેલા ડ્રાઇવરના પરિવારજનો અને સમાજના લોકોએ પોસ્ટમોર્ટમ રૃમ ઉપર ભેગા થઇને નિષ્પક્ષ તપાસ અને વળતરની માંગ કરી હોબાળો કર્યો હતો. કલાકો બાદ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.
હજીરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર ના ધુલીયામાં રહેતો ૩૫ વર્ષીય ડ્રાઇવર અશોક રંગનાથ સાલવે ટ્રક લઈને સુરત આવ્યો હતો. બુધવારે મોડી રાતે હજીરાના અદાણી પોર્ટ પાસે બેભાન મળતા નવી સિવિલમાં લાવ્યા હતા. ત્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો .આજે સવારે મૃતકના પરિવારજનો અને સમાજના કેટલાક લોકો સિવિલના પોસ્ટમોર્ટમ રૃમ ઉપર ભેગા થઇ ગયા હતા.મૃતકના સમાજના લોકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે અશોકભાઈને ત્યાં તેનું કરંટ લાગવાથી મોત થયુ છે છતાં નેચરલ ડેથ થયુ હોવાનું પોલીસ કહે છે.આ અંગે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. મૃતકને ન્યાય અને યોગ્ય વળતર મળવું જોઈએ. તેવી માંગો સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી હંગામો કર્યો હતો. બાદમાં કલાકો પછી તેનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.

