બાળકીનું મોત થતા મૃત બાળકીને હાથમાં લઈ માતા સહિતના પરિવારનો રઝળપાટ
પતિ હોસ્પિટલમાં નહીં આવતા પત્નીની પતિને સજા કરવા માંગણી
સયાજી હોસ્પિટલમાં ચાર દિવસની નવજાત બાળકીનું મોત નીપજવા સાથે પતિએ પત્નીને તરછોડી દેતા માતા મૃત બાળકીનો મૃતદેહ ખોળામાં લઈ રાવપુરા પોલીસ મથકે પહોંચી હતી. જોકે પોલીસે સાવલી પોલીસ સ્ટેશન જવા કહેતા માતાએ હૈયાફાટ રુદન સાથે ન્યાયની માંગ કરી હતી.
મૃતક બાળકીની માતા જયાબેન તેજાભાઇ ઠાકોરે કહ્યું હતું કે, ચાર વર્ષ પહેલા મારા લગ્ન પાટણ ખાતે રહેતા તેજાભાઇ ઠાકોર સાથે થયા હતા. સંતાનમાં એક 3 વર્ષનો દીકરો છે, 1 ઓગસ્ટે મે દીકરીને જન્મ આપ્યો હતો, જોકે, મારા પતિ અહીં આવવા તૈયાર નથી, મારી જિંદગી મારા પતિએ ખરાબ કરી નાખી છે, એને કડક સજા થવી જોઈએ, પોલીસ અમને સાવલી પોલીસ સ્ટેશનમાં મોકલે છે અને હોસ્પિટલમાં મોકલે છે, અમારી જવાબદારી લેવા કોઇ તૈયાર નથી. પોલીસ અધિકારીનું કહેવું હતું કે, મહિલાને તેમના પતિ સાથે વિવાદ ચાલે છે. મહિલા મૂળ સાવલીના હોવાથી ત્યાં જઈને સાવલી પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા માટે તેમને સમજ આપી છે. મહિલાએ મૃત બાળકની ખાસવાડી સ્મશાનમાં અંતિમવિધિ કરી હતી.