Get The App

આણંદ જિલ્લાના 33 મૃતકોના અવશેષોની રાહ જોતા પરિવારો

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News

- અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતને ભેટેલાના પરિવારજનોને સાંત્વના આપવા સ્વજનો પહોંચ્યા

- આણંદ અને વાસદના એક જ પરિવારના 3-3 સભ્યના મોત : સંતાનોને મળવા, પૌત્ર- પૌત્રીને રમાડવા સહિતની ઈચ્છાઓ મૃતકોની અધૂરી રહી

પૌત્રીને રમાડવા લંડન જતા હાલાણી પરિવારના ત્રણ સભ્યના જીવ ગયા

આણંદ જિલ્લાના 33 મૃતકોના અવશેષોની રાહ જોતા પરિવારો 1 - image

આણંદના સલાટીયા રોડ ઉપર રહેતા હાલાણી પરિવારના ત્રણ સભ્યોના પણ વિમાન દુર્ઘટનામાં મોત નીપજ્યા છે. ૬૬ વર્ષીય બદરૂદ્દીન હલાણી મૂળ ધોળકા તાલુકાના વતની હતા અને એક એકેડેમીની રાષ્ટ્રીય સૈનિક સ્કૂલના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી. આણંદના બિલ્ડર રાજુભાઈ હાલાણીના મોટાભાઈ બદરૂદ્દીન હાલાણી સમાજ સેવા સાથે પણ સંકળાયેલા હતા. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે પાંચેક વર્ષ પૂર્વે પુત્ર અને એક પુત્રી લંડન ગયા હતા. જ્યારે અન્ય એક પુત્રી કેનેડા ગઈ હતી. પુત્રના ઘરે દોઢેક વર્ષ પૂર્વે દીકરીનો જન્મ થતાં પુત્ર અને પુત્રવધુને મળવા તથા પૌત્રીને રમાડવા માટે બદરૂદ્દીનભાઈ હલાણી પત્ની યાસ્મીનાબેન અને ભાભી મલેકબેન સાથે લંડન જવા માટે નીકળ્યા પણ મૃત્યુ ત્રણેયને આંબી ગયું હતું. 

ભરોડા ગામનું વૃદ્ધ દંપતી પુત્રોને મળવા લંડન જતું હતું

આણંદ જિલ્લાના 33 મૃતકોના અવશેષોની રાહ જોતા પરિવારો 2 - image

ઉમરેઠ તાલુકાના ભરોડા ગામે રહેતા ૭૬ વર્ષીય શશીકાંત રાવજીભાઈ પટેલ અને તેમના ૭૨ વર્ષીય પત્ની કોકીલાબેન નિવૃત્ત જીવન ગુજારતા હતા. છેલ્લા દસેક વર્ષથી ભરોડા ગામે રહેતા હતા સંતાનમાં તેમને બે પુત્રો છે અને બંને પુત્રો લંડનમાં સ્થાયી થયા છે. 

તમાકુના વેપાર સાથે સંકળાયેલ શશીકાંતભાઈ પટેલ તથા તેમના પત્ની અવારનવાર પુત્રોને મળવા માટે લંડન જતા હતા ગુરુવારે પણ આ વૃદ્ધ દંપતી પુત્રોને મળવા માટે લંડનની ફ્લાઈટમાં જતા હતા. જોકે આ સફર તેઓની આખરી સફર સાબિત થઈ હતી. 

વૃદ્ધ દંપતીના અવસાનના સમાચાર સાંભળી ભરોડા ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

બે સંતાનોને મળવા કરમસદની માતાએ બે મહિનાની રજા લીધી હતી

આણંદ જિલ્લાના 33 મૃતકોના અવશેષોની રાહ જોતા પરિવારો 3 - image

આણંદ પાસેના કરમસદ ગામની લલિતા નગર સોસાયટીમાં રહેતા ભાવનાબેન રાણા પોતાના બે સંતાનોને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. ત્યારે દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. વડોદરા ખાતે રહેતા પોતાના મોટા બહેન આનંદીબેન સાથે કરમસદના ભાવનાબેન બીપીનભાઈ રાણા લંડન જવા નીકળ્યા હતા. 

ભાવનાબેન રાણા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં ફરજ બજાવતા હતા અને લંડન જવા માટે બે માસની રજા લીધી હતી. તેમની પુત્રી છ વર્ષ પૂર્વે લંડન ગઈ હતી. જ્યારે પુત્ર રાજન અઢી વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન ખાતે ગયો હતો. ૫૬ વર્ષીય ભાવનાબેન અગાઉ એક વાર પુત્ર અને પુત્રીને મળવા માટે લંડન ગયા હતા. ૨૦૦૮માં પિતાની છત્ર છાયા ગુમાવી દેનાર બંને સંતાનોએ માતાની પણ છત્રછાયા ગુમાવી દીધી છે.

પત્નીના અવશેષ માટે ઉમરેઠના રઝાકભાઈ ડીએનએ સેમ્પલ આપી પરત ફર્યા

આણંદ જિલ્લાના 33 મૃતકોના અવશેષોની રાહ જોતા પરિવારો 4 - image

ઉમરેઠના વિંઝોલ રોડ ઉપર આવેલી બાલાપીર સોસાયટી ખાતે રહેતા રજાકભાઈ વ્હોરાના ૫૩ વર્ષીય પત્ની સલમાબેનની લંડન રહેતી દીકરીના ઘરે પારણું બંધાવાનું હોવાથી પ્રથમ હવાઈ સફર સલમાબેનની જિંદગીની આખરી સફર બની હતી. સલમાબેનના પતિ રજાકભાઈના જણાવ્યા મુજબ, ગુરુવારે અમદાવાદ એરપોર્ટ ખાતે પત્નીને મૂકવા ગયા હતા જ્યાં બોડગ પાસ બની ગયા બાદ સલમાબેન પ્લેનમાં બેઠા બાદ તેઓ ઉમરેઠ આવવા પરત નીકળ્યા હતા. દરમિયાન એરપોર્ટથી થોડીક જ દૂર રસ્તામાં તેમની ગાડીમાં પંચર પડતા તેઓ ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને પાછળની તરફ જોતા હવામાં ધુમાડાના ગોટેગોટા નીકળતા નજરે પડયા હતા. આ પરિસ્થિતિ વચ્ચે તેમના સંબંધીએ તેમને ફોન કરીને પ્લેન ક્રેશ અંગે માહિતી આપી હતી. ગતરોજ ડીએનએ ટેસ્ટ માટેના સેમ્પલ આપ્યા બાદ મોડી રાત્રે તેઓ ઉમરેઠ પરત ફર્યા હતા.

પૌત્રને રમાડવા જવાની ઈચ્છા દાદાની અધૂરી રહી

આણંદ જિલ્લાના 33 મૃતકોના અવશેષોની રાહ જોતા પરિવારો 5 - image

આણંદ તાલુકાના રામનગરના ૪૫ વર્ષીય મહેન્દ્રભાઈ મનુભાઈ વાઘેલાનું પણ પ્લેન ક્રેશમાં મોત થયું છે. મહેન્દ્રભાઈ વાઘેલાનો પુત્ર ચારેક વર્ષ અગાઉ સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન ગયો હતો અને લગભગ બે વર્ષ પૂર્વે તેણે એક યુવતી સાથે લગ્ન કર્યા બાદ તેમના ઘરે સંતાનની પ્રાપ્તિ થઈ હતી.

 જેથી મહેન્દ્રભાઈ વાઘેલા અને તેમના પત્ની મીનાબેને સંતાનને રમાડવા માટે લંડન જવા ફાઇલ મૂકી હતી. પરંતુ મહેન્દ્ર ભઈની વિઝા ફાઈલ રિજેક્ટ થઈ હતી અને તેમના પત્નીને વિઝા મળતા તેઓ બે માસ પૂર્વે લંડન ગયા હતા અને ત્યારબાદ મહેન્દ્રભાઈના પણ વિઝા મંજૂર થતા તેઓ પૌત્રને રમાડવા માટે લંડન જઈ રહ્યા હતા. ત્યારે તેમને કાળ ભરખી ગયો હતો. મહેન્દ્રભાઈના પુત્રી અને જમાઈ પણ હાલ લંડન ખાતે રહે છે.

ખંભાતનું દંપતી પુત્રીને મળ્યા બાદ ત્રણ મહિના માટે લંડન રહેવાનું હતું

ખંભાતના હેમંતભાઈ પંડયા તથા તેમના પત્ની નેહાબેનનું પણ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ખંભાતના ચોક વિસ્તારમાં રહેતું આ દંપતી પ્રથમ વખત લંડનની મુસાફરી કરી રહ્યું હતું નગરાના એક યુવક સાથે લગ્ન કર્યા બાદ હેમંતભાઈની દીકરી લંડનમાં સ્થાયી થઈ છે અને દીકરીએ ઉમળકા ભેર માતા- પિતાને લંડન બોલાવવા માટે વિઝા અરજી  કરાવી હતી. 

મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતા કર્મકાંડી બ્રાહ્મણ હેમંતભાઈ પંડયા પત્ની નેહાબેન સાથે દીકરીના ઘરે ત્રણ મહિના માટે લંડન જવાના હતા. જોકે લંડનની સફર પૂર્વે જ તેઓની જિંદગીની સફર પૂર્ણ થઈ જતા પરિવાર શોકમગ્ન બન્યું હતું.

દુર્ઘટના પછી ચરોતરના લોકોએ વિદેશના બૂકિંગ રદ કરાવ્યા

અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ આગામી દિવસોમાં આણંદ જિલ્લામાંથી વિદેશ જનારા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જિલ્લામાંથી અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા જવા માટે એર ટિકિટ બૂકિંગ કરાવનારા વ્યક્તિઓ વિમાન દુર્ઘટનાના ભયમાં ઊંઘી શકતા પણ નથી. ત્યારે આણંદ જિલ્લામાંથી કેટલાય લોકોએ વિદેશના બૂકિંગો રદ કરાવી દીધા છે.

 વિઝા ધરાવતા લોકો હવે બધુ થાળે પડે નહીં ત્યાં સુધી કોઈ જોખમ લેવા માંગતા નથી. બુકિંગ રદ કરાવનારાઓનું કહેવું છે કે, હાલ ઓઘડિયા અને સમય સારો નથી. કઈ ઘડીએ શું થાય તે નક્કી નથી તેથી હમણાં જવું નથી, પોતાના ગામમાં રહીશું, બધું સરખું થશે પછી જ જઈશું. 

કઠલાલ પાલિકાના પૂર્વ પ્રમુખ મૃતક પ્રશાંતભાઈના મોટા પુત્રનું ડીએનએ લેવાયું

અમદાવાદના પ્લેન ક્રેશમાં કઠલાલ પાલિકાના પૂર્વ પ્રમુખ ભાજપના પ્રશાંતભાઈ દિલીપભાઈ પટેલ (લાલાભાઈ ઉ.વ.૪૯)નું મોત થયું હતું. આ દુઃખદ ઘટનાને લઈ કઠલાલ નગરમાં વેપારીઓએ બંધ પાળ્યો હતો. મૃતકના બે પુત્રો ધો. ૧૨મા ક્રિષ્ના અને ધો. ૮મા હેમ અભ્યાસ કરે છે. ત્યારે ક્રિષ્નાનું ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યું હતું. ડીએનએ મેચ થશે તો ૭૨ કલાક પછી અવશેષ પરિવારને સોંપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

પુત્રીના પદવીદાનમાં લંડન જતા પરિવારના ત્રણ સભ્યોના મોત

આણંદ જિલ્લાના વાસદના રહીશ અને રાજુપુરા મહીસાગર નદી કિનારે ક્રિષ્ના રિવર સાઈડ નામના રિસોર્ટના માલિક રજનીકાંતભાઈ મહીજીભાઈ પટેલની પુત્રી લંડન ખાતે અભ્યાસ કરતી હોવાથી અને પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે રજનીકાંતભાઈ પત્ની દિવ્યાબેન તથા ભાભી હેમાંગીનીબેન સાથે લંડન જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવાર થયા હતા. પ્લેન ક્રેશની દુર્ઘટનામાં એક જ પરિવારના આ ત્રણેય સભ્યોના મૃત્યુ થતાં સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આણંદના ડૉક્ટર પ્રેક્ટિસ માટે લંડન જતા દુર્ઘટનામાં મૃત્યુ

આણંદના જાણીતા એનેસ્થેટિક તબિબ ડોક્ટર હિમાંશુ વસંતલાલ શેઠ પણ લંડન જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવાર થયા હતા. આણંદ જિલ્લા તબીબ જગતમાં ડોક્ટર હિમાંશુ શેઠ ખ્યાતનામ હતા અને તેમના પત્ની પણ ગાયનેકોલોજિસ્ટ છે. ડોક્ટર હિમાંશુ શેઠ લંડનમાં પણ પોતાની તબીબ તરીકેની ફરજો બજાવતા હતા. તેઓ બ્રિટિશ પાસપોર્ટ પણ ધરાવતા હતા. વર્ષમાં ત્રણથી ચાર વખત તેઓ લંડન જતા હતા. ડોક્ટર હિમાંશુ શેઠનું વિમાન દુર્ઘટનામાં મોત થતા આણંદના તબીબ આલમમાં પણ શોક વ્યાપી ગયો હતો. 

Tags :