કસ્ટમ ડયુટી બચાવવાં એકનાં બદલે બીજા દેશનું નામ લીધું
કસ્ટમ વિભાગ દ્વારા તપાસ કરતા હકીકતો ખુલતા દિલ્હીના પેઢીના સંચાલક સામે ગુનો દાખલ કરાયો
ગાંધીધામનાં કાસેઝ ટાઉનશીપમાં રહેતા અને કાસેઝ કસ્ટમમાં મૂલ્યાંકન અધિકારી તરીકે ફરજ બજાવતા સમીર કાંતિલાલ જોષીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, બનાવ ગત ૨૭ ઓગસ્ટ થી ૬ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન બન્યો હતો. જેમાં દિલ્હીની કથબર્ટ વિનર એલએલપી નામની પેઢીનાં સંચાલક આરોપી સમીર કિશોરકમલ અરોરાએ ગત
ફેબ્આરી ૨૦૨૩માં દુબઈથી કાળા મરીનો જથ્થો આયાત કરીને ગાંધીધામનાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (કાસેઝ)માં આવેલા મેસર્સ આદિત્ય એક્સપોર્ટસના વેરહાઉસમાં રાખ્યો હતો. જેમાં
કસ્ટમ ડડયુટીની છૂટછાટનો ગેર લાભ લેવાના હેતુથી દિલ્હીની આ કંપનીએ ચોપડા પર કાળા મરી દુબઈના બદલે અફઘાનિસ્તાનનાં હોવાનું જણાવ્યું હતું. આ કૌભાંડની ગંધ લુધિયાણા ડીઆરઆઈને આવી જતાં તેમણે એપ્રિલમાં કાસેઝનાં વેરહાઉસ પર દરોડો પાડી વેરહાઉસમાં રહેલો કાળા મરીનો જથ્થો જપ્ત કર્યો હતો. ડીઆરઆઈએ જપ્ત કરેલો મરીનો જથ્થો છોડાવીને તેને ભારતની સ્થાનિક બજારમાં વેચવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે ડયુટીની ૩૦ ટકા રકમની બેન્ક ગેરંટી કસ્ટમમાં રજૂ કરવાની શરતે મરીનો જથ્થો મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. જેમાં હાઈકોર્ટના હુકમના દસ મહિના સુધી દિલ્હીની કંપનીએ માલ છોડાવવા કોઈ તસ્દી લીધી ન હતી. જે બાદ ગત ૨૪ ઓગસ્ટ ૨૦૨૪ મા માલ છોડાવવા દિલ્હીની કથબર્ટ વિનર એલએલપી માલિક સમીર કિશોરકમલ અરોરાનાં નામથી બેંક ગેરંટીઓ તથા પીડીબોન્ડ્સ કસ્ટમ આફિસમાં રજૂ કર્યા હતા. જેમાં કસ્ટમ વિભાગને શંકા જતા ખરાઈ કરાવતા બેન્ક દ્વારા આવા કોઈ ઓર્ડર ઈસ્યુ ન કરાયા હોવાનું સામે આવ્યું હતું. તેમજ વકીલની ખોટી સહી અને સિક્કા કરી સમીર અરોરાએ બેન્ક ગેરન્ટીના નકલી દસ્તાવેજ બનાવી કસ્ટમની આંખમાં ધૂળ નાખવા પ્રયાસ કર્યો હતો. જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ગાંધીધામ બે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


