Gujarat

શિવરાત્રિએ મેળો યોજાશે: જૂનાગઢના ભવનાથના મેળાને મળી મંજૂરી

By GS Team
17 Feb 20222 mins read
This article was originally published on 17 Feb 2022
શિવરાત્રિએ મેળો યોજાશે: જૂનાગઢના ભવનાથના મેળાને મળી મંજૂરી

અમદાવાદ, તા. 17 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર

ગુજરાતમાં ધાર્મિક તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે. આવતા મહિને શિવરાત્રિ છે અને સંતજનોની સાથે ભકતજન અને સામાન્ય જનતા પણ પૂજા-અર્ચનાનો લાભ મેળવવા માટે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યાં હતા. અંતે જૂનાગઢના જિલ્લા કલેક્ટરે કડક સૂચનો આસ્થાને ધ્યાને રાખીને મેળો યોજવાની પરવાનગી આપી છે.

ભારતના પ્રાચીન જૂનાગઢમાં યોજાતો ભવનાથનો મેળો છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને પગલે રદ્દ કરવો પડ્યો હતો પરંતુ 2022માં કોરોના રસીકરણ અને ત્રીજી લહેરની ઓટને જોતાં અંતે સરકારે ભવાનથના પવિત્ર મેળાને યોજવા માટે મંજૂરી આપી છે.

અનેક ચર્ચા-વિચારણાને અંતે જૂનાગઢના કલેક્ટરે શિવરાત્રિના તહેવારે જૂનાગઢની તળેટીમાં યોજાતો ભવનાથનો મેળો યોજવા માટે મંજૂરી આપી છે. જોકે દરેક વ્યકતિએ આ મેળામાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત રહેશે.

કલેક્ટરે કહ્યું છે કે 2022ની શિવરાત્રિનો આ મેળો અત્યાર સુધીનો સૌથી સારો મેળો બનાવવા માટે તંત્રએ કમર કસી લીધી છે. ભવનાથના મેળાના આયોજન માટે અલગ અલગ સમિતિઓ બનાવાઇ છે. આજની બેઠકમાં સાધુ સંતો, ધારાસભ્ય, પદાધિકારીઓ, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે મહા શિવરાત્રીના મેળામાં 12થી 15 લાખ ભાવિકો અહિં દર્શનાર્થે આવતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લઈને મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર ના થાય અને તેઓ ઘરે બેઠા શિવરાત્રીના મેળાની પરંપરાગત ઉજવણી માણી શકે તે માટે લાઈવ પ્રસારણ કરવામાં આવતું હતુ. 2020થી આ મેળામાં શિવ અને જીવના મિલનમાં માત્ર સાધુ-સંતો જ હાજર રહી શકતા હતા.