- જૂનાગઢના વડાલ સહિતના 20 ગામમાં ડુંગળીના પાકને નુકસાન થતાં ખેડૂતોએ રોટાવેટર ફેરવી દેવા મજબુર બનવું પડયું છે.
- ખેડૂતોને વિઘાદીઠ 20 થી 25 હજારના ખર્ચ બાદ વળતર નહિવત્
જૂનાગઢ : જૂનાગઢ તાલુકાના વડાલની આસપાસના ર૦થી વધુ ગામના મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરે છે. કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકમાં મોટું નુકસાન થતા ખેડૂતોએ ડુંગળીના ઉભા પાક પર રોટાવેટર ફેરવવાનું શરૂ કરી દીધુ છે. ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો કહે છે કે, તેમને ખુબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હોવાથી સરકારે ખાસ સહાય ચૂકવવી જોઈએ.
કમોસમી વરસાદથી ડુંગળીના પાકમાં બાફીયો અને ટીબી નામનો રોગ લાગી જવાથી પાક સદંતર નિષ્ફળ ગયાનો કિસાનોનો વલોપાત
મગફળીના પાકને ખુબ મોટું નુકસાન થયું છે તેવું જ ડુંગળીના પાકને પણ નુકસાન છે. જૂનાગઢ તાલુકાના વડાલ, સુખપુર, માખીયાળા, બામણગામ, ચોકલી, ચોકી, ભીયાળ, કેરાળા, ઝાલણસર, બલીયાવડ, ડેરવાણ સહિતના ગામમાં મોટાભાગના ખેડૂતો મગફળીને બદલે ડુંગળીનું વાવેતર કરે છે. આ વખતે પડેલા કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકમાં ખુબ મોટું નુકસાન થયું છે. વડાલ ગામમાં ડુંગળીનું વાવેતર કરતા અનેક ખેડૂતોએ જણાવ્યું છે કે, વરસાદના કારણે ડુંગળીનો પાક સુકાઈ ગયો છે, ડુંગળીના જે ગાંઠીયા તૈયાર હતા તેમાં બાફીયા, ટીબી નામનો રોગ લાગી ગયો છે તેથી મોટાભાગના ખેડૂતો છેલ્લા બે-ત્રણ દિવસથી ડુંગળીના ઉભા પાક પર રોટાવેટર ફેરવી રહ્યા છે. ખેતરમાં બગડી ગયેલા પાકને શ્રમિકો દ્વારા કાઢવા માટેનો મોટો ખર્ચો થાય છે, તેના કરતા રોટાવેટરથી ડુંગળી કાઢી નાખવામાં આવે તો ઓછો ખર્ચ થતો હોવાથી ખેડૂતોને મજબુરીવશ રોટાવેટર મારવું પડી રહ્યું છે.
આ ખેડૂતોએ ઉમેર્યું કે, મગફળીના પાકને નુકસાન છે પરંતુ ટેકાના ભાવે સરકાર ખરીદી કરતી હોવાથી તેમાં થોડીઘણી મદદ મળી રહી છે, જ્યારે ડુંગળીનું વાવેતર કરનારા ખેડૂતોને તેવો લાભ મળતો ન હોવાથી ખુબ મોટું આિર્થક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ઉત્પાદન જ નહીવત જેવું હોવાથી ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતને મોટો માર પડયો છે. જો સરકાર મદદ નહી કરે તો ખેડૂતોને દેવાના ડુંગર તળે દબાઈ જવા સિવાય કોઈ વિકલ્પ નથી. સરકાર ગંભીરતાથી નિર્ણય લઈ ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતો માટે તાત્કાલીક સહાય જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ખર્ચ પણ નથી નીકળતોઃ ડુંગળીની ઉપજ અને આવકનું કિસાનોને રડાવતું ગણિત
એક વિઘો ડુંગળી પાછળ ખેડૂતોએ ર૦થી રપ હજારનો ખર્ચ કરવો પડે છે, જેની સામે હાલમાં નબળી ડુંગળીના એક મણના ૭૦થી ૮૦ રૂપિયા અને સારી ડુંગળીના ૧૦૦થી ૧પ૦ રૂપિયા ભાવ (સરેરાશ રૂા.૧૧૦) છે, જે જોતાં તેમને જો વીઘાદીઠ ૨૦૦ મણનું ઉત્પાદન હોય તો ખર્ચ બાદ કરતાં હાથમાં લગભગ કશું બચતું નથી. મહેનતકશ કિસાનોની અપેક્ષા હોય છે કે જો મણદીઠ રૂા.૩૦૦ સરેરાશ ભાવ મળે તો તેમને વીઘાદીઠ રૂા. ૬૦ હજાર જેવી રકમ મળી રહે અને ખર્ચ બાદ કરતાં વીઘાદીઠ ત્રીસેક હજાર રુપિયા તેમના હાથમાં આવે, જે તેમની મહેનત સાપેક્ષ પૂરતા કહી શકાય.


