વડોદરા: મઢેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના માજી મંત્રી દ્વારા રૂ. 18.65 લાખની ઉચાપત
વડોદરા, તા. 18 જુલાઈ 2022 સોમવાર
વાઘોડિયા તાલુકાની ધી મઢેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પોતાના હસ્તકની સિલક - દાણ વેચાણ કરી પશુ વીમા પ્રીમિયમ અને પશુ લોનની રકમ સભાસદો પાસેથી કપાત કરી 18.65 લાખ ઉપરાંતની રકમ રોજમેળમાં જમા ન કરાવી ઉચાપત કરનાર માજી મંત્રી વિરુદ્ધ પ્રમુખે વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે રહેતા 73 વર્ષીય શાંતિલાલ પટેલ ખેતી કામ વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, દૂધ મંડળીમાં મંત્રી તરીકે હાલ કુંજ તૃષાબેન લીમ્બાચીયા છે. અગાઉ ગામના રહેવાસી અજયભાઈ ભઈલાલભાઈ પરમાર દૂધ મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. જેઓને ઠરાવ થકી તમામ પ્રકારના નાણાકીય વ્યવહારનો અધિકાર હતો.
દરમિયાન જાણવા મળ્યું હતું કે, અજય પરમારે સભાસદોને જરૂરિયાત મુજબ ડેરી તરફથી આવતું દાણ આપી અને તેના પૈસા કપાત કર્યા હોવા છતાં મંડળીના ખાતામાં જમા નહીં કરાવી ગેરરીતી આચરી છે. તેઓને સમજાવી વારંવાર નાણા પરત કરવા જણાવ્યું હતું. પરંતુ આઠ દિન સુધી ઉચાપતના નાણાં જમા કરાવ્યા નથી.
ઓડિટ દરમિયાન વર્ષ 2019 થી વર્ષ 2021 સુધી અજય પરમારે બંધ સિલક / દાણ વેચાણ કરી તેનો જમા ન લીધેલ દાણનો વકરો પશુ વીમા પ્રીમિયમ અને પશુ લોનના સભાસદો પાસેથી કપાતની રકમ રૂ. 18,65,690.02 પોતાના અંગત કામમાં વાપરી નાણાકીય ગેરરીતી આચરી હોવાનો અહેવાલ સપાટી પર આવ્યો હતો. જેથી મંડળીની કમિટીએ હિસાબો અધૂરા હોય અજય પરમારનું મંત્રી તરીકેનું રાજીનામું સ્વીકાર્યુ હતું. પોતાની જવાબદારી નાણા ભરપાઈ કરવા માટે સ્વીકારી અજય પરમારે સિક્યુરિટી પેટે ચેક જમા કરાવ્યો હતો. પરંતુ આજદિન સુધી ઉચાપતની રકમ જમા કરાવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે,ધી મઢેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. કચેરી સાચવણીની તમામ જવાબદારી મંડળીના માજી મંત્રી અજય પરમારને સોંપવામાં આવી હતી. તથા રોકડમેળ નિયમિત લખાય અને સ્ટોક સિલકનો અધિકાર મંત્રીને સોંપવાનો ઠરાવ થયો હતો. અને તમામ કામગીરી તેઓ દ્વારા સંભાળવામાં આવતી હતી. મંડળીની સમગ્ર હિસાબી વહીવટી કામગીરી અજયભાઈ પરમારના શિરે હતી. અત્રે નોંધનીય છે કે, માજી મંત્રીએ ઉચાપત રકમમાંથી 1.50 લાખ ચેક થી જમા કરાવ્યા છે.
રકમ રોજમેળમાં જમા ન લઈ સભાસદોને મંડળીની પાવતી ન આપી
પોતાના કાર્યકાળ દરમિયાન અજય પરમારે વેચાણ થયા બાદનો દાણ વકરો મંડળીના રોજમેળમાં જમા કરાવ્યો ન હતો. બંધ સિલક રૂ. 50,625.02 હાથ પર હતી. સરવૈયા મુજબનું પશુ વીમા પ્રીમિયમ રૂ. 37,668 રોકડા હતા. તથા પશુ લોનના રૂ. 01,72,290 સભાસદો પાસેથી રોકડી વસૂલાત કરી હતી. અને સભાસદોને જમા પાવતી નહીં આપી રોજમેળમાં પણ જમા કરાવ્યા ન હતા. આમ, રૂ. 18.65 લાખ ઉપરાંતની રકમ રોજમેળમાં જમા નહીં કરાવી પોતાના અંગત કામમાં વાપરી હોવાનું માજી મંત્રીએ કબૂલ્યું હતું.