Get The App

VIP કારના કાફલાને પણ વાયબ્રન્ટ ટ્રાફિકજામ નડયો : ઠેર-ઠેર કતારો

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
VIP કારના કાફલાને પણ વાયબ્રન્ટ ટ્રાફિકજામ નડયો : ઠેર-ઠેર  કતારો 1 - image

અધિકારીઓએ કારમાંથી ઉતરી પગપાળા ચાલવું પડયું: ટ્રાફિક નિયમનનો અભાવ કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોનો મુદ્દો પ્રભારી મંત્રી વાઘાણી સુધી પહોંચ્યો તો તેણે કહ્યું :અહીં મોટા પુલની જરૂર છે

રાજકોટ, : રાજકોટમાં મોરબી રોડ ઉપર ગઈકાલે રિજીયન વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યા બાદ આજે દેશભરમાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ તેમજ ગાંધીનગરથી મંત્રીઓ અને સચિવો, અધિકારીઓનો કાફલો ઉતરી પડતા સવારના ૩ કલાક સુધી રસ્તાઓ ઉપર વીઆઈપી કાર ટ્રાફિક જામમાં ફસાઈ હતી. કલાકો સુધી એમ્બ્યુલન્સ પણ નીકળી શકી નહોતી. આ મુદ્દો આજે રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વઘાણી સુધી પહોંચ્યો ત્યારે ટ્રાફિક નિયમનની અનિવાર્યતા દર્શાવવાને બદલે તેઓએ અહી મોટાપુલની જરૂરિયાત હોવાનું દર્શાવતા સોશ્યલ મીડીયામાં આ મુદ્દો ચર્ચાસ્પદ બની રહ્યો હતો.

રાજકોટમાં મોરબી રોડ ઉપર રિજીયનલ વાઈબ્રન્ટ સમિટના આજે બીજા દિવસે એક જ દિવસમાં જુદા જુદા ટેન્ટમાં 41 સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હોવાને લીધે સેમિનારમાં હાજરી આપવા સચિવો અને અધિકારીઓની દોડધામ દિવસભર ચાલતી રહી હતી. કૃષિ ઉદ્યોગ, પ્રવાસન, ફિશરીઝ, ગીફટસીટી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, વનવિભાગ સહિત અન્ય વિભાગના ૪૧ સેમિનારમાં સમયસર હાજર રહેવા મોટ સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈ ઉમટી પડતા મોરબી રોડ ઉપર બન્ને સાઈડમાં ટ્રાફિકજામ સર્જાયો હતો. વીઆઈપીઓની કાર પણ ટ્રાફિકજામમાં ફસાઈ હતી. પરિણામે કેટલાક અધિકારીઓએ પ્રોટોકલ જાળવવા માટે બબ્બે કિલોમીટર ચાલીને વાઈબ્રન્ટનાં સ્થળે પહોંચવું પડયું હતું.

ટ્રાફિકજામના ગંભીર પ્રશ્ને નિયમનનો સાર્વત્રિક અભાવ હોવાની ફરિયાદો રાજકોટ જિલ્લાનાં પ્રભારી અને મંત્રી જીતુભાઈ વાઘાણીનું ધ્યાન દોરવામાં આવતા તેઓએ ટ્રાફિકની અવ્યવસ્થા અંગે ટીપ્પણી કરવાને બદલે વાઈબ્રન્ટ જેવા કાર્યક્રમમાં ટ્રાફિક વધુ હોય તે સ્વભાવિક છે. અલબત આ રસ્તા ઉપર મોટો પુલ બનાવવાની જરૂર છે તેવું નિવેદન કર્યું હતું. વાઈબ્રન્ટ સમિટના કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલાં લોકોમાં આ મુદ્દો ખુબ જ ચર્ચાસ્પદ બન્યો હતો.