Gujarat

મુદતમાં વધારા પછી પણ થલતેજ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી કરવામાં ઠાગા ઠૈયાં

By GS TEAM
27 Aug 20251 min read
મુદતમાં વધારા પછી પણ  થલતેજ તળાવ ડેવલપમેન્ટની કામગીરી  પુરી કરવામાં ઠાગા ઠૈયાં

  અમદાવાદ,બુધવાર,27 ઓગસ્ટ,2025

થલતેજમાં આવેલા તળાવને ડેવલપ કરવા કોન્ટ્રાકટર આસોપાલવ ગાર્ડન કન્સલ્ટન્ટને વર્ષ-૨૦૨૩માં કોન્ટ્રાકટ અપાયો હતો.કોર્પોરેશનના જ વિવિધ વિભાગની બેદરકારીના કારણે આ તળાવ ડેવલપ કરવાની કામગીરી પુરી થઈ શકી નથી.જયારે કોન્ટ્રાકટરને મુદતમા વધારો અપાઈ રહયો છે. તળાવ ડેવલપમેન્ટની કામગીરી કેટલી પુરી થઈ એ અંગે પાણી સમિતિના ચેરમેનને પુછતા તેમણે કહયુ, એ મારે પણ પુછવુ પડશે.

થલતેજમાં આવેલા તળાવને ડેવલપ કરવા વર્ષ-૨૦૨૨માં રુપિયા ૪.૭૯ કરોડના ખર્ચે ડેવલપ કરવા મ્યુનિસિપલ કમિશનરે મંજુરી આપી હતી.વર્ષ-૨૦૨૩માં સ્ટેન્ડિંગ કમિટીએ રુપિયા ૪.૯૯ કરોડનુ કોન્ટ્રાકટરનુ ટેન્ડર મંજુર કર્યુ હતુ.વર્ક ઓર્ડર અપાયા  પછી કોન્ટ્રાકટરે તળાવ આસપાસની ડેબરીઝ અને ઝાડી વગેરે દુર કરવાના શરુ કર્યા હતા.પરંતુ તળાવ આસપાસના દબાણો જ દુર કરાયા નહતા.આ પ્રોજેકટની મુદત ૧૮ ઓગસ્ટ-૨૪ના રોજ પુરી થઈ ગઈ હતી.કોન્ટ્રાકટરને ૧૭ નવેમ્બર-૨૦૨૪ સુધી મુદત વધારી અપાઈ હતી.ત્રણ મહીનામા કામગીરી પુરી થાય એમ નહી હોવાથી ભાજપના શાસકોએ તળાવ ડેવલપમેન્ટના વધારાના કામ સુચવ્યા હતા.સામાન્ય રીતે આ સુચન પ્રોજેકટ શરુ થાય એ પહેલા કરવાના હોય છે.૩૦ જુન-૨૦૨૫ સુધી કોન્ટ્રાકટરની મુદત પાણી સમિતિમાં વધારી અપાઈ છતાં કામગીરી પુરી થઈ નથી.