કેન્દ્રીય મંત્રીની ખાતરી બાદ પણ સુરતના કતારગામમાં સોસાયટીના લોકોએ દરવાજા પર પહેરો ગોઠવ્યો
Surat : સુરતના કતારગામ વિસ્તારમાં રાજકીય હુંસાતુંસીમાં રહેણાક સોસાયટીના કોમન પ્લોટ અને વાડી પર રિઝર્વેશન મુદ્દે લોકોમાં ઉકળતો ચરુ છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે કબજા નહી લેવાની સૂચના આપી હોવા છતાં આજે પણ વેડરોડ વિસ્તારની સોસાયટીના ગેટ પર તાળા લાગ્યા હતા અને લોકો ખુરશી મૂકી ગેટ પર બેસી ગયા હતા. પાલિકા જો મંજૂર પ્લાન વાળી સોસાયટીના કોમન પ્લોટનો કબજો લે તો લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ માટેની નોટિસ લગાવી દેવામાં આવી છે.
કતારગામની રહેણાંક સોસાયટીમાં મુકાયેલા રિઝર્વેશન રીવીઝન કરી જ્યાં સુધી હટાવવામાં નહી આવે ત્યાં સુધી કબજો લેવાની કામગીરી કોઈ પણ ક્ષણે થઈ શકે તેવી સોસાયટીના લોકોને ખબર પડી ગઈ છે. દોઢ વર્ષથી એક ઈંચ પણ જમીનનો કબજો નહીં લેવામાં આવે તેવી ખાતરી બાદ પણ 34 પ્લોટના કબ્જા લઈ લેવામાં આવ્યા છે તેના કારણે હવે મંજુર પ્લાનની સોસાયટીના લોકો વધુ જાગૃત બન્યા છે. ગઈકાલે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ખાતરી આપી હોવા છતાં આજે પણ વેડ રોડ ઇશ્વરનગર સોસાયટીના ગેટ પર તાળા મારી વડીલો બેસી ગયા હતા. 38 વર્ષ જૂની પાલિકાએ જેનો પ્લાન મંજૂર કર્યો છે તેવી સોસાયટીના કોમન પ્લોટ પર રિઝર્વેશન મુકાયું છે તેથી લોકોમાં ભારે રોષ છે અને લોકો લડી લેવાના મુડમાં છે. આ સોસાયટીના કબજો નહી આપતા તથા જે 34 કબ્જા લીધા છે તે પાછા આપવા માટેની માંગણી અસરગ્રસ્તો કરી રહ્યાં છે.