અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના બાપુનગર સ્થિત ESIC સંચાલિત 320 બેડની જનરલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મહિલા મેડિકલ વિભાગમાં દાખલ દર્દીઓને સાંજે પીરસવામાં આવેલી ખીચડીમાં જીવાત મળી આવતા હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો. અંદાજે 42 જેટલી મહિલા દર્દીઓમાં ભય અને આક્રોશ ફેલાયો હતો, અને ઘણા દર્દીઓએ જમવાનું લીધા વગર પરત કરી દીધું.

દર્દીઓના ભોજનમાં જીવાત!
આ ઘટનામાં બાબુભાઈ પરમાર, વિજયાબેન મહેન્દ્રભાઈ દવે અને અશોકભાઈ એચ. જાદવ જેવા દર્દીઓના ભોજનમાં જીવાત જોવા મળી હતી. મામલો ગંભીર બનતા ગોમતીપુરના દર્દીઓએ સિનિયર કોર્પોરેટર ઈકબાલ શેખને જાણ કરી, જે તાત્કાલિક હોસ્પિટલ પર પહોંચ્યા અને CMO તથા નાઈટ સુપરિન્ટેન્ડન્ટ સમક્ષ કડક રજૂઆત કરી. દર્દીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પ્રશાસને રાત્રે 11 વાગ્યે ફરીથી સ્વચ્છ જમવાનું તૈયાર કરીને પીરસ્યું.
સિનિયર અધિકારીના સગા હોવાથી કાર્યવાહી નથી થઈ રહી
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખાદ્ય સામગ્રી કોન્ટ્રાક્ટર દ્વારા સપ્લાય થાય છે અને કિચનની જવાબદારી કૈલાશ મીણા પાસે છે. તેમ છતાં, તેઓ એક સિનિયર અધિકારીના સગા હોવાને કારણે કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ સમગ્ર મામલે ઈકબાલ શેખએ કેન્દ્ર સરકારના લેબર મંત્રી મનસુખ માંડવીયા સહિત સંબંધિત અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી છે.









