સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર પાટિયા વિસ્તારમાંથી લારી-ગલ્લાના દબાણો દૂર કરાયા
Surat : ગત શુક્રવારે ડભોલી વિરમાં ઓનલાઇન વસ્તુનું વેચાણ કરનારા ગેરકાયદે ડોમમાં આગ લાગ્યા બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે આજે રાંદેર ઝોનમાં ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, પાલનપોર પાટીયા વિસ્તારમાં જ્યાંથી લારી-ગલ્લાના દબાણ દૂર કર્યા તેની બાજુમાં જ રેતી-ઈંટ જાહેરમાં મુક્યા છે તે દબાણ દૂર ન થતાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર પાટીયા વિસ્તારમાં મશાલ સર્કલની આસપાસ લારી-ગલ્લા તથા ટેમ્પરરી સ્ટ્રકચર બનાવી ખાણી પીણીની વસ્તુનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત રામનગરથી હાઉસીંગના રોડ પર ગેરકાયદે શાક માર્કેટ પણ ભરાઈ છે. આજે પાલિકાએ દબાણ દુર કરવાની કામગીરી કરી હતી ત્યારે શરૂઆતમાં લોકોએ ભારે વિરોધ કર્યો હતો જેના કારણે પોલીસ બોલાવવી પડી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જોકે, પાલિકાએ જે જગ્યાએથી દબાણ દૂર કર્યા તેની બાજુમાં જ રસ્તા પર જ ઈંટ અને રેતીના ઢગલા હતા. અહીથી ઈંટ અને રેતીનું વેચાણ થઈ રહ્યું છે. જોકે, પાલિકાએ નાના દબાણ દૂર કર્યા પરંતુ આ દબાણ કર્યા નથી આ ઉપરાંત આ રોડ પર રોજ સાંજે શાકભાજી માર્કેટનું ન્યુસન્સ છે તેની સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે દબાણ દુર કરવાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.