Get The App

કાલે ભાવનગરની 233 ગ્રા.પં.ની ચૂંટણી, 4.90 લાખ મતદાતા બનશે ભાગ્ય વિધાતા

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
કાલે ભાવનગરની 233 ગ્રા.પં.ની ચૂંટણી,  4.90 લાખ મતદાતા બનશે ભાગ્ય વિધાતા 1 - image


- પ્રચાર પડઘમ શાંત, ચૂંટણી તંત્રએ તમામ તૈયારીઓ પૂરી કરી 

- 698 મતદાન મથકોમાં મુકાયેલી 776 મતપેટીમાં મતદારો સવારના સાતથી સાંજના 6 કલાક સુધીમાં બેલેટ પેપરથી મતદાન કરશે 

ભાવનગર : ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની ઉલટ ગણતરી શરૂ થઈ ગઈ છે. આગામી રવિવારે ૨૩૩ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થવાનું હોય, ચૂંટણી તંત્રએ તમામ તૈયારીઓ આટોપી લીધી લીધી છે. આ ચૂંટણીમાં ૪.૯૦ લાખથી વધુ મતદાતા ઉમેદવારોના ભાગ્ય વિધાતા બની તેમનું ભાવિ મતપેટીમાં કેદ કરશે.

ભાવનગર જિલ્લાની ૪૬૬ ગ્રામ પંચાયતમાં સામાન્ય,વિભાજન,મધ્યસત્ર અને પેટા ચૂંટણી જાહેર કરાઈ હતી. તેમાંથી અડધો-અડધ ગ્રામ પંચાયતો સમરસ થતાં અથવા ફોર્મ જ ન ભરાયા હોવાથી ચૂંટણી કાર્યક્રમમાંથી બાદબાકી થતાં હવે આગામી તા.૨૨ને રવિવારે જિલ્લાની ૨૩૩ ગ્રામ પંચાયતમાં ૨૨૪ સરપંચ અને ૧૩૪૭ સભ્યની બેઠક માટે ચૂંટણી યોજાશે.ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૬૯૮ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. અને મતદાન માટે ૭૭૬ મતપેટી રાખવામાં આવશે. ઉલ્લેખનિય છે કે,આ તમામ ગ્રામ પંચાયતોમાં સ્ત્રી અને પુરૂષ મળી કુલ ૪,૯૦,૬૯૪ મતદાતા નોંધાયેલા હોય, ગ્રામ્ય વિસ્તારોના મતદારો બેલેટ પેપરથી મતદાન કરી તેમની પંચાયતના નવા સરપંચ અને સભ્યોનું ભાવિ મતપેટીમાં કેદ કરશે. જયારે, મતાદાનનો સમયસવારે સાત કલાકથી સાંજે છ કલાક સુધીનો રહેશે.

દરમિયાનમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્વે આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત પડી જતાં હવે બાકીના બચેલા કલાકો ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેવાના છે. પંચાયતમાં પાવર હાંસલ કરવા માટે ઉમેદવારો ઘરે-ઘરે ફરી પોતાની તરફેણમાં મતદાન કરવા મતદારો પાસે આજીજી કરતા જોવા મળશે. સત્તાની સોગઠાબાજી ગોઠવવા ઘણાં ઉમેદવારો, તેમના ટેકેદારો અને પરોક્ષ રીતે રાજકીય પાર્ટીઓ એડીચોંટીનું જોર લગાવી દેશે. ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ સ્ટાફ ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખશે. મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય, ગામડાઓમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે.

જિલ્લાના 10 તાલુકામાં રિસિવિંગ અને ડિસ્પેચીંગ સેન્ટર ઉભા કરાયા

ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ જિલ્લાના તમામ ૧૦ તાલુકામાં એક-એક રિસિવિંગ અને ડિસ્પેચીંગ સેન્ટર ઉભા કરાયા છે. જેમાં ભાવનગર તાલુકા માટે શામળદાસ આર્ટ્સ કોલેજ-ભાવનગર, ઘોઘા તાલુકા માટે સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ)-ઘોઘા, તળાજા તાલુકા માટે સરકારી વિનયન કોલેજ-તળાજા, મહુવા તાલુકા માટે કે.જી. મહેતા કન્યા વિદ્યાલય-મહુવા અને શેઠ એમ.એન. હાઈસ્કૂલ-મહુવા, જેસર તાલુકા માટે બીજો માળ, હોલ, મામલતદાર કચેરી-જેસર, પાલિતાણા તાલુકા માટે પાલિતાણા હાઈસ્કૂલ-પાલિતાણા, ગારિયાધાર તાલુકા માટે એમ.ડી. પટેલ હાઈસ્કૂલ-નાની વાવડી રોડ, ગારિયાધાર, સિહોર તાલુકા માટે શ્રીમતી જમનાબેન ભુતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ-સિહોર, ઉમરાળા તાલુકા માટે પી.એમ. સર્વોદય હાઈસ્કૂલ-ઉમરાળા અને વલ્લભીપુર તાલુકા માટે જે.બી. ગુજરાતી કે.વ. શાળા નં.૨, વલ્લભીપુર ખાતે રિસિવિંગ-ડિસ્પેચીંગ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.

Tags :