Get The App

રેતી માફિયાના આતંક સામે દહેગામના બે ગામોમાં ચૂંટણી બહિષ્કારનું એલાન

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
રેતી માફિયાના આતંક સામે દહેગામના બે ગામોમાં ચૂંટણી બહિષ્કારનું એલાન 1 - image


વારંવાર રજુઆત છતા મેશ્વોમાં ચાલતી લીઝ બંધ કરાતી નથી

નાગજીના અને જીવરાજજીના મુવાડાના ગ્રામજનોનું 'ખાણ ખનીજ વિભાગ ચોર'ના નારા સાથે મામલતદારને આવેદન

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાંથી વહેતી મેશ્વો નદી રેતી માફિયાઓના હાથે લૂંટાઈ રહી છે. ગેરકાયદે રેતી ખનનનો ધમધમાટ દિવસ-રાત ચાલી રહ્યો છે જેના કારણે નાગજીના મુવાડા, જીવરાજજીના મુવાડા, મોટાના મુવાડા અને વેઝાજાના મુવાડાના ગ્રામજનોનું જનજીવન નરક બની ગયું છે. આમ છતાં, ખાણ-ખનીજ વિભાગ દ્વારા લીઝની ફાળવણી કરવામાં આવી છે જે ગ્રામજનોના રોષનું કારણ બની છે અને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચિમકી પણ ઉચ્ચારી છે.

આ રેતી માફિયાઓના આતંક સામે ગ્રામજનોએ ગ્રામ પંચાયતથી લઈને કલેક્ટર સુધી ફરિયાદોનો દૌર ચલાવ્યો પરંતુ નિરાકરણના નામે ફક્ત ખોટા આશ્વાસનો જ મળ્યા છે ત્યારે હવે આ નબળી વહીવટી વ્યવસ્થા અને ભ્રષ્ટાચારના વિરોધમાં નાગજીના મુવાડા, જીવરાજજીના મુવાડા અને બે પેટાપરાના ગ્રામજનોએ હાલની ગ્રામ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગેરકાયદે ખનન અને ભ્રષ્ટાચારનો શાંતિથી સહન નહીં કરે તેવો સંદેશ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરીને આપી દિધો છે.

આજે મોટી સંખ્યામાં ગ્રામજનો દહેગામ મામલતદાર કચેરીએ 'ખાણ-ખનીજ વિભાગ ચોર છે'ના નારા સાથે પહોંચ્યા અને લીઝ રદ કરવાની ઉગ્ર માગણી કરી હતી. તેમણે મામલતદારને આપેલા આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો રેતી ખનનની લીઝ રદ નહીં કરાય તો ગ્રામ પંચાયતની ચૂંટણી ઉપરાંત આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે. આ રેતી માફિયાઓની મનમાની અને વહીવટી ગેરરીતિઓએ લોકશાહીના મૂળને નબળું પાડયું છે.

'ખેતરનું ધોવાણ થાય ત્યારે ફરિયાદ કરજો 'અધિકારીના વલણ સામે રોષ

મેશ્વો નદીમાં લીઝ બંધ કરવા માટે નાગજીના મુવાડા તથા જીવરાજજીના મુવાડા સહિત અહીંના પેટાગામો દ્વારા વારંવાર મામલતદારથી લઇને કલેક્ટર સુધી ફરિયાદ કરવામાં આવી છતા અહીં સ્થાનિક ગ્રામજનો કે પંચાયતને જાણ કર્યા વગર લીઝ આપી દેવામાં આવી હોવાનો આક્ષેપ આજે આવદનપત્ર આપવા માટે આવેલા ગ્રામજનોએ કર્યો છે. એટલુ જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે, અગાઉ જ્યારે તેમણે ખાણ ખનિજ વિભાગમાં રજુઆત કરી હતી કે નદીના પટની નજીક ખાનગી સર્વે નંબરની જમીન-ખેતરો આવેલા છે તેનું ધોવાણ થવાની શક્યતા પણ છે ત્યારે અધિકારીએ ખેતરોનું ધોવાણ થાય ત્યારે ફરિયાદ કરજો અત્યારે તો આ લીઝ ચાલુ રહેશે તેવો જવાબ આપી દિધો હતો જેના સામે પણ ગ્રામજનોમાં ભારોભાર રોષ ફેલાઇ રહ્યો છે.

નદી કાંઠાના નાના ગામની લડાઇ હવે ઉગ્ર આંદોલનમાં ફેરવાશે

મેશ્વો નદીમાં ગેરકાયદે રેતી ખનન અને લીઝને કારણે ગ્રામજનો હેરાન થઇ ગયા છે અધિકારીઓ દ્વારા પણ તેમને યોગ્ય પ્રતિઉત્તર મળતો નથી જેના કારણે ગ્રામજનોનો આક્રોશ હવે ચરમસીમાએ છે. ખાણ-ખનીજ વિભાગની મૌન સંમતિ અને રેતી માફિયાઓની બેફામ હરકતો સામે આ લડાઈ એક નાના ગામની નહીં, પરંતુ ન્યાય અને પારદશતાની લડાઈ છે. સરકાર અને વહીવટી તંત્ર જો આ માગણીઓને ગંભીરતાથી નહીં લે, તો આ આંદોલન વધુ ઉગ્ર બનવાની પૂરી શક્યતા છે.

 

Tags :