Rajkot News : રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં શહેરના કુવાડવા ખાતે રહેતા માનસિક બીમાર વૃદ્ધાની પોતાની પતિએ હત્યા કરી દીધી હતી. સમગ્ર મામલે હત્યારા પતિએ જાતે જ પોલીસને જાણ કરીને કહ્યું કે, 'સાહેબ મેં મારી પત્નીને પતાવી દીધી...' હત્યાના બનાવને લઈને બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા ભકત કવિ નરસિંહ મહેતા ટાઉનશિપમાં એક વૃદ્ધ દંપતી રહેતા હતા. જયેન્દ્ર ધકાણ અને તેમની પત્ની મંજુલાબેન જયેન્દ્રભાઇ ધકાણ (ઉં.વ.65) સાથે ઝઘડો થયો હતો, જેમાં પતિએ પત્નીને ગળેટુપો આપીને હત્યા નીપજાવી હતી. બનાવ અંગે જયેન્દ્રભાઈએ પોલીસ સ્ટેશનમાં જઈને પત્નીની હત્યા અંગે જણાવ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી જયેન્દ્રભાઈને કોઈ સંતાન નહોતું અને બંને દંપતી એકલા રહેતા હતા. તેઓ પરિવારનું ગુજરાત ચલાવા માટે રિક્ષા ચલાવતા હતા. મૃતક વૃદ્ધા માનસિક બીમાર હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


